અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવતા કામો અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને માહિતી આપી હતી. તેમણે ફાયર તપાસને લઈને વિગતો આપી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગ્રીન કવર વધારવા અને તેની લાંબાગાળાની જાળવણી માટે એક નવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.શહેરમાં મોટા પાયે કરાયેલા વૃક્ષારોપણના રેકોર્ડ બાદ ભવિષ્યમાં આ વૃક્ષો યોગ્ય રીતે મોટા થાય અને રસ્તા કે વીજળીની લાઈનો નડે નહીં તે હેતુથી કામગીરી કરવામાં આવશે. આ અંતર્ગત હવે સરકારી જગ્યાઓ ઉપરાંત ખાનગી સોસાયટીઓ,બંગલાઓ કે કોમર્શિયલ એકમોમાં આવેલા વૃક્ષોને પણ વ્યવસ્થિત રીતે ટ્રિમ કરવા માટે AMC એક ખાસ પોલિસી અમલમાં લાવશે. 

ખાનગી પરિસરોના વૃક્ષોનું વૈજ્ઞાનિક ઢબે ટ્રિમિંગ

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે કહ્યું હતું કે, આગામી પોલિસી હેઠળ કોર્પોરેશન દ્વારા નિયત ચાર્જ લઈને ખાનગી પરિસરોના વૃક્ષોનું વૈજ્ઞાનિક ઢબે ટ્રિમિંગ કરી આપવામાં આવશે.જેનો અમલ આગામી દિવસોમાં સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવશે.AMC દ્વારા પશ્ચિમ ઝોનમાં આવેલી ઇમારતો પર ઓચિંતી ફાયર તપાસ હાથ ધરવામાં આવી છે.ખાસ કરીને ફાયર સેફ્ટીના સાધનો કે મંજૂરી વિના ચાલતી ઇમારતો સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે.આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સંબંધિત અધિકારીઓ પાસે તાકીદે સમગ્ર તપાસનો વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે અને જે પણ બિલ્ડિંગોમાં ખામી જણાય ત્યાં તાત્કાલિક ધોરણે ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા ઊભી કરાવવા માટે કડક આદેશ આપ્યા છે.

ઉંદરના કારણે AC લાઇન તૂટી હતી

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની છતમાંથી પાણી ટપકતો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભારે હોબાળો મચ્યો હતો.આ વિવાદ મુદ્દે હવે સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન કમલેશ પટેલે સત્તાવાર નિવેદન આપી સ્પષ્ટતા કરી છે.તેમણે જણાવ્યું હતું કે,કોઈ નબળા બાંધકામના કારણે નહીં પરંતુ બિલ્ડિંગમાં ઉંદરોનો ત્રાસ હોવાના કારણે એર કન્ડીશનરની આઉટલેટ પાઇપલાઇન તૂટી ગઈ હતી.જેના લીધે આ પાણી ટપકવાની સમસ્યા સર્જાઈ હતી.જેવો આ મામલો ધ્યાનમાં આવ્યો કે તરત જ ટેકનિકલ ટીમને મોકલીને માત્ર એક જ કલાકના ટૂંકા ગાળામાં રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: ચાંદખેડામાંથી પોલીસે બે વિદેશી મહિલાઓને ડિટેઈન કરી, વિઝાની મુદ્દત પૂર્ણ છતાં રહેતી હતી