તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે નાના-મોટા વેપારીઓ,લારી-ગલ્લા ધારકો અને દુકાનદારોને થયેલા આર્થિક નુકસાન અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિર્ણય અંગે જણાવ્યું હતું કે,અમદાવાદ જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વેપારીઓ,લારી-ગલ્લા ધારકો અને દુકાનદારો માટે સુરતની જેમ જ આર્થિક પુનઃવસન સહાય જાહેર કરવામાં આવી છે. બીજી તરફ વેપારીઓ સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાયથી અસંતોષની લાગણી ઉજાગર કરી રહ્યાં છે. 

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો

અમદાવાદ શહેરમાં તાજેતરમાં આવેલા પૂરના કારણે થયેલા નુકસાનનું આકલન કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પૂરથી થયેલી જાનમાલની ક્ષતિ અને આર્થિક નુકસાનની ચોક્કસ વિગતો મેળવવા માટે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની આગેવાની હેઠળ વિશેષ ટીમો બનાવવામાં આવી છે.શહેરના તમામ સાતેય ઝોનમાં આ સાત ટીમો દ્વારા વિસ્તૃત સર્વે હાથ ધરીને સમગ્ર નુકસાનનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.જે બાદમાં રાજ્ય સરકારને સોંપવામાં આવશે. આ સમગ્ર સર્વે અને રાહત કામગીરી અંગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક ખાસ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. 

નિર્ણયો લેવાની સંપૂર્ણ સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપાઈ

ઠરાવ મુજબ શહેરી વિસ્તારમાં નુકસાનીનો સર્વે કરવાની અને જરૂરી તમામ નિર્ણયો લેવાની સંપૂર્ણ સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવી છે.દરેક ઝોન માટેની ટીમ પોતાના વિસ્તારમાં ફરીને કેટલું નુકસાન થયું છે તેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરશે.પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ આ સર્વે ટીમોની સંખ્યામાં વધારો કરવાની સત્તા પણ મ્યુનિસિપલ કમિશનરને જ આપવામાં આવી છે.આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે,સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ તેના આધારે કયા વિસ્તારમાં કેટલી અને કઈ રીતે રાહત કે સહાય આપવી તે નક્કી કરવામાં આવશે.તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય પૂરથી પ્રભાવિત થયેલા લોકોને ઝડપથી અને યોગ્ય સહાય પહોંચાડવાનો છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: અમદાવાદના વેપારીઓને મળશે વરસાદી નુકસાનની સહાય, જાણો કેટલું અને કેવી રીતે મળશે વળતર?