કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોતાના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગર હેઠળ આવતા અમદાવાદ ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવારની એક વિશિષ્ટ અને સંવેદનશીલ રીતે ઉજવણી કરી હતી. આ વિશેષ કાર્યક્રમમાં ટાઇપ-1 ડાયાબિટીસની ગંભીર બીમારીથી પીડાતી નાની-મોટી દીકરીઓએ કેન્દ્રીય મંત્રી અમિત શાહને રક્ષાસૂત્ર (રાખડી) બાંધીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
ગૃહ મંત્રીએ આજીવન નિઃશુલ્ક ઇન્સ્યુલિન આપવાની કરી જાહેરાત
આ પ્રસંગે દીકરીઓના રક્ષણ અને સ્વાસ્થ્યની જવાબદારી સ્વીકારતાં કેન્દ્રીય મંત્રીએ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો હતો. તેમણે ટાઇપ-૧ ડાયાબિટીસ ધરાવતી તમામ દીકરીઓને રક્ષાબંધનની અનોખી ભેટ આપતાં જાહેરાત કરી હતી કે આ દીકરીઓને આજીવન નિઃશુલ્ક (ફ્રી) ઇન્સ્યુલિન પૂરું પાડવામાં આવશે, જેથી તેમના પરિવાર પરનો આર્થિક બોજ હળવો થઈ શકે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે માત્ર ઇન્સ્યુલિન આપવા પૂરતું નહીં, પરંતુ દીકરીઓનું આરોગ્ય સતત સારો રહે તે માટે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં એક સુદ્રઢ અને સંકલિત આરોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
