આણંદ જિલ્લાના બોરસદ પંથકમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એક વિશાળ ધાર્મિક અને ભક્તિમય પ્રયાણનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ આયુષ્ય માટે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા બોરસદ અને તેના આસપાસના વિવિધ ગામોમાંથી 4 હજારથી વધુ કાર્યકરો અને શ્રદ્ધાળુઓ દ્વારકા જવા માટે રવાના થયા છે.

65 લક્ઝરી બસો સહિત 95 વાહનોનો કાફલો

બોરસદ ખાતેથી પૂર્વ પ્રમુખ વિજયસિંહ રાજના નેતૃત્વમાં આ ભવ્ય કાફલો દ્વારકા માટે રવાના થયો હતો. કાર્યકરોને દ્વારકા લઈ જવા માટે 65 જેટલી લક્ઝરી બસો અને અન્ય નાના-મોટા વાહનો મળીને કુલ 95 વાહનોનો વિશાળ કાફલો તૈયાર કરવામાં આવ્યો હતો. દ્વારકા પ્રયાણ કરતાં પહેલાં તમામ કાર્યકરોએ બોરસદમાં આવેલી મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ જ દ્વારકાધીશના ધામે જવાનો પ્રારંભ કર્યો હતો.

દ્વારકાધીશને 52 ગજની ધજા ચઢાવી દેશના વિકાસ માટે કરાશે પ્રાર્થના

દ્વારકા પહોંચીને તમામ કાર્યકરો પવિત્ર જગત મંદિર ખાતે દ્વારકાધીશ ભગવાનને 52 ગજની ધજા અર્પણ કરશે અને વિશેષ પૂજા-અર્ચનામાં ભાગ લેશે. દેશના સશક્ત વિકાસ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા સ્વસ્થ અને દીર્ઘાયુ રહે તે માટે કાર્યકરો કાળિયા ઠાકોરના ચરણોમાં શીશ નમાવીને પ્રાર્થના કરશે. બોરસદથી નિકળેલા આ ભવ્ય કાફલાથી સમગ્ર આણંદ જિલ્લામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad News : પોશ વિસ્તારમાં અનોખી ઘરફોડ ચોરી, કાવેરી વિવંતામાં રાતોરાત ટ્રકમાં ઘરવખરી ભરી ચોરો ફરાર!