અમદાવાદના પોશ ગણાતા આનંદનગર વિસ્તારમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગના કોર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા ધર્મસિંહ નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર ગુના બાદ પોલીસે આરોપી ધર્મસિંહની અટકાયત કરી હતી.

આનંદનગરમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મનો કેસ

તપાસ દરમિયાન પંચનામાની કામગીરી વેળાએ આરોપી ધર્મસિહે પોલીસ ઝાપતામાંથી ફરાર થવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તેને રોકવા માટે પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો, જે આરોપીના પગમાં વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. આથી તેને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

ઇજાગ્રસ્ત આરોપી ધર્મસિંહ ગ્રામ્ય કોર્ટમાં રજૂ

આનંદનગર પોલીસે આરોપીના ૫ દિવસના પોલીસ રિમાન્ડ મેળવવા માટે કોર્ટ સમક્ષ 5 મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા હતા. બળાત્કાર જેવા ગંભીર ગુના પાછળ અગાઉથી કોઈ કાવતરું ઘડાયું હતું કે કેમ. ગંભીર ગુનો આચરી ભાગવામાં તેને કોઈ વ્યક્તિ તરફથી આર્થિક કે અન્ય મદદ મળી હતી કે કેમ.આરોપીના મોબાઈલ ફોનના CDR (કોલ ડિટેલ રેકોર્ડ) અને SDR એનાલિસિસ માટે કસ્ટડી જરૂરી. ગુનામાં અન્ય કોઈ આરોપી સાથે હતો કે કેમ તે ચકાસવું. બનાવની ગંભીરતા જોતાં આરોપીની ભૌતિક હાજરી જરૂરી.

અદાલતનો મહત્વનો નિર્ણય

પોલીસે સુનાવણી દરમિયાન રજૂઆત કરી હતી કે આરોપી ભોગ બનનાર પીડિતાનો મોબાઈલ ફોન ઝૂંટવીને ભાગી ગયો હતો. આથી પોલીસે BNS (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ ૩૦૮ (૫) ઉમેરવા અરજી કરી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. પરંતુ, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગ્રામ્ય કોર્ટે પોલીસની ૫ દિવસની રિમાન્ડ અરજી ના-મંજૂર કરી દીધી હતી અને આરોપી ધર્મસિંહને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.

આ પણ વાંચો: Banaskantha: પાલનપુરમાં માત્ર દોઢ ઇંચ વરસાદમાં જૂના બસ સ્ટેન્ડ રોડ અને અંબાજી હાઇવે પાણીમાં ગરકાવ