અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતાં સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ સર્જાયો છે. સોસાયટી અંદરના વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં દીપડો એક મકાન પાસે 5 થી 7 મિનિટ બેઠો હોવાનું અને બંગલાની અંદર જઈને પરત બહાર નીકળતો નજરે પડે છે. શરણદીપ સોસાયટીના જે ગાર્ડન વિસ્તારમાંથી દીપડો ઘૂસ્યો હતો ત્યાં જ વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક પાંજરું મૂકવામાં આવ્યું છે. આ ઉપરાંત આસપાસમાંથી મરઘાનું મારણ કર્યું હોવાના અવશેષો તથા બહારના ભાગે દીપડાના ફૂટપ્રિન્ટ પણ મળી આવ્યા છે.

દોઢથી બે કિલોમીટરનો સમગ્ર વિસ્તાર કોર્ડન

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને વન વિભાગે દોઢથી બે કિલોમીટરનો સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લીધો છે અને 22 જેટલા વનકર્મીઓની ટુકડી તૈનાત કરી દેવામાં આવી છે. ખુલ્લા તેમજ અવાવરુ અને શંકાસ્પદ વિસ્તારોમાં વન વિભાગની ટીમ દ્વારા સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે બકરી, મરઘી અને માછલીનું મારણ મૂકીને અલગ-અલગ જગ્યાએ કુલ ચાર પાંજરા ગોઠવવામાં આવ્યા છે. સોસાયટીની અંદર અને બહાર બંને તરફ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.હાલમાં દીપડો વિસ્તાર છોડીને જતો રહ્યો હોવાની શક્યતા પણ સેવાઈ રહી છે. છતાં વન વિભાગની ટીમ સતત કાર્યરત રહીને સ્થિતિ પર નજર રાખી રહી છે. 

દીપડો ક્યાંથી આવ્યો તેની તપાસ ચાલી રહી છે

તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈને પણ દીપડો દેખાય તો તુરંત જ વન વિભાગને જાણ કરવી. સુરક્ષાના તમામ પગલાં સાથે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડાને શોધી કાઢવા માટેના તમામ પ્રયાસો પુરજોશમાં ચાલુ રાખવામાં આવ્યા છે. આ મામલે વન મંત્રી અને વાઈલ્ડ લાઈફ પીસીસીએફ તરફથી પણ મોટા નિવેદનો સામે આવ્યા છે. વન મંત્રીએ જણાવ્યું છે કે દીપડો ક્યાંથી આવ્યો તેની તપાસ ચાલી રહી છે અને તેને પકડવા માટે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે. સાબરમતી નદીની કોતરમાંથી દીપડો આવ્યો હોવાની અને રાત્રિના સમયે પરત ચાલ્યો ગયો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પીસીસીએફના જણાવ્યા મુજબ અમદાવાદ રેન્જમાં એકપણ દીપડાની નોંધણી નથી, જ્યારે સરકારી ચોપડે સમગ્ર રાજ્યમાં 2600 દીપડા નોંધાયેલા છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી કૂલ 8 દર્દીના મોત: આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયા