ગુજરાત ATS દ્વારા સિદ્ધપુરથી પકડાયેલા શંકાસ્પદ આતંકીઓ અંગે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. તપાસ દરમિયાન પકડાયેલા શખ્સો પાસેથી મોટા પ્રમાણમાં જેહાદી સાહિત્ય અને પુસ્તકો મળી આવ્યા છે. આ પુસ્તકોમાં વિસ્ફોટકો કેવી રીતે બનાવવા તેની વિગતવાર અને જોખમી માહિતી આપેલી હતી. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ તમામ શખ્સો જૈશ-એ-મોહમ્મદના આકા મૌલાના અઝહર મસૂદની કટ્ટર વિચારધારાથી ભારે પ્રભાવિત હતા અને તેઓએ અઝહર મસૂદને એક પત્ર પણ લખ્યો હતો.
ષડ્યંત્રકાર અમીન શેરા દ્વારા માહિતી અપાતી
આ સમગ્ર નેટવર્ક પાછળ મુખ્ય ષડ્યંત્રકાર તરીકે અમીન શેરા નામનો શખ્સ સક્રિય હતો જે આ શંકમંદ આતંકીઓને તમામ પ્રકારની માહિતી અને માર્ગદર્શન પૂરૂં પાડતો હતો. બીજી તરફ એટીએસ દ્વારા પકડાયેલા મુખ્ય આરોપી મોહમ્મદના પિતા અય્યુબભાઈએ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી છે.પિતાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો મારો દીકરો ખરેખર દેશદ્રોહી નીકળે અને આવી પ્રવૃત્તિઓમાં સામેલ હોય તો કાયદો તેને કડક વલણ અપનાવીને સજા કરે.મોહમ્મદના પિતાએ ખુલાસો કર્યો હતો કે તેમનો પુત્ર ઉત્તર પ્રદેશની પ્રખ્યાત દેવબંદ મદ્રેસામાં અભ્યાસ કરી ચૂક્યો છે અને છેલ્લા 6 મહિનાથી તેમની સાથે જ દુકાને કામ પર બેસતો હતો.
તપાસમાં સહયોગ આપવાની પિતાની ખાતરી
ઘરમાં તેની પ્રવૃત્તિઓ વિશે વાત કરતા પિતાએ જણાવ્યું કે તે અવારનવાર ફટાકડા અને ઝાડમાં નાખવાના પાવડર લાવીને અલગઅલગ પ્રયોગો કરતો હતો. જેનો હેતુ હવે સ્પષ્ટ થઈ રહ્યો છે. આરોપીના પરિવારે દેશવિરોધી ગતિવિધિઓથી પોતાને તદ્દન અલગ કરી દીધા છે.પિતા અય્યુબભાઈ અને તેમના પરિવારે સ્પષ્ટ કર્યું છે કે,તેઓ ક્યારેય પણ આવી કોઈ દેશવિરોધી પ્રવૃત્તિમાં સહમત નથી અને દેશ હિત જ તેમના માટે સર્વોપરી છે.આ સાથે જ તેમણે એટીએસ અને સ્થાનિક પોલીસની ચાલી રહેલી તમામ તપાસમાં પૂરેપૂરો સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી છે.હાલમાં એટીએસ મોહમ્મદ અને અમીન શેરાના કનેક્શન તેમજ વિસ્ફોટકો બનાવવાના આ પ્રયોગો કયા મોટા ષડ્યંત્રનો ભાગ હતા તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચોઃ Rajkot News: 26.80 કરોડના ખર્ચે ભક્તિનગર રેલવે સ્ટેશનનું નવીનીકરણ, પીએમ મોદી કરશે વર્ચ્યુઅલી લોકાર્પણ









