અમદાવાદ શહેરમાં વિવિધ પડતર માગણીઓને લઈને રિક્ષાચાલક યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલી ત્રણ દિવસની હડતાળનો અંતે સંપૂર્ણ ફિયાસકો થયો છે. ત્રીજો દિવસ પૂરો થાય તે પહેલાં જ રિક્ષાચાલકોએ પોતાની હડતાળ સમેટી લેવાની ફરજ પડી છે. ગઈકાલથી જ આ હડતાળને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો હતો, પરંતુ આજે ત્રીજા દિવસે મોટા ભાગના ચાલકોએ વિરોધ છોડીને રસ્તા પર રિક્ષાઓ દોડાવવાનું શરૂ કરી દેતાં આંદોલન તદ્દન પડી ભાંગ્યું હતું.
ચાલકોમાં આંતરિક મતભેદ ઉભરી આવ્યા
વિગતવાર માહિતી મુજબ, ત્રણ દિવસની હડતાળ દરમિયાન રિક્ષાચાલકો અને વિવિધ યુનિયનો વચ્ચે આંતરિક મતભેદો સરેઆમ સપાટી પર આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન યુનિયનની બેઠકો યોજાઈ હોવા છતાં ચાલકોની માગણીઓ અંગે કોઈ ઉકેલ કે નક્કર આશ્વાસન મળ્યું ન હતું. બીજી તરફ, સતત ત્રણ દિવસ સુધી ધંધો-રોજગાર બંધ રાખીને આર્થિક નુકસાન વેઠવું પોસાય તેમ ન હોવાથી ચાલકોમાં જ વિભાજન પડ્યું હતું. પરિણામે, ત્રીજા દિવસે બંધ રાખવાની જીદ છોડીને ચાલકોએ સ્વયંભૂ રિક્ષાઓ રસ્તા પર ઉતારી દીધી હતી.
