મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે ૫:૦૦ વાગ્યે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાવાના કારણે સર્જાયેલી સ્થિતિ અને આગામી દિવસોમાં યોજાનારા વિધાનસભાના ચોમાસા સત્રની તૈયારીઓના ભાગરૂપે આ બેઠક આહૂતો કરવામાં આવી છે. આ બેઠકમાં તમામ કેબિનેટ તથા રાજ્યકક્ષાના મંત્રીઓ અને વિવિધ વિભાગોના ઉચ્ચ વહીવટી અધિકારીઓ હાજર રહેશે.
ચોમાસા સત્રના મહત્વના બિલો અંગે થશે મંથન
આજના આ કેબિનેટ મંથનનો મુખ્ય એજન્ડા રાજ્યભરમાં વરસાદની અછત અને તેના લીધે પીવાના પાણી તેમજ સિંચાઈ અંગે ઊભી થયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો છે. આ ઉપરાંત, વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન ગૃહમાં મૂકવામાં આવનારા મહત્વપૂર્ણ સરકારી વિધેયકો (બિલો) અને સરકારી નીતિવિષયક નિર્ણયોની પ્રગતિ અંગે પણ ઊંડાણપૂર્વક ચર્ચા હાથ ધરવામાં આવશે. ઓછો વરસાદ ધરાવતા તાલુકાઓ અને જિલ્લાઓમાં જળાશયોના વર્તમાન જળસ્તર અંગે સંબંધિત વિભાગો પાસેથી વિગતવાર અહેવાલ લેવામાં આવશે.
