ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા કેસોને પગલે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ વાયરસની વર્તમાન સ્થિતિ અંગે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ 32 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આ પૈકી પંચમહાલના ગોધરામાં જ ચાંદીપુરા વાયરસના બે કન્ફર્મ કેસ નોંધાયા છે. અત્યાર સુધી લેબોરેટરી ટેસ્ટમાં પોઝિટિવ આવેલા 7 દર્દીઓમાંથી 3 દર્દીઓના કરુણ મોત નીપજ્યા છે, જેને પગલે સમગ્ર રાજ્યમાં ચિંતાનો માહોલ છે.
માસૂમ બાળકીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો
બીજી તરફ, અરવલ્લી જિલ્લામાં પણ ફરી એકવાર ચાંદીપુરા વાયરસનો ભય વ્યાપી ગયો છે. અરવલ્લીના મેઘરજ તાલુકાના જાલમપુર ગામની એક 2 વર્ષીય માસૂમ બાળકીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા જ સ્થાનિક તંત્ર દોડતું થયું છે. બાળકીની તબિયત વધુ લથડતા તેને સઘન સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. આ કેસના પગલે અરવલ્લી જિલ્લાનું આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ મોડ પર મૂકાયું છે અને સંભવિત ફેલાવાને રોકવા માટે હાઈ રિસ્ક વિસ્તારોમાં તાત્કાલિક અસરથી સર્વેલન્સ અને સઘન ડસ્ટિંગ ની કામગીરી શરૂ કરી દેવાઈ છે.
