આવતા વર્ષે યોજાનારી ચૂંટણીઓની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. ચૂંટણી તંત્ર અને વહીવટી સ્તરે આ પ્રવાસને લઈને મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. CEC પોતાના પ્રવાસની શરૂઆત ઐતિહાસિક સાબરમતી આશ્રમ ખાતે શ્રદ્ધાસુમન અર્પિત કરીને કરશે. આ ઉપરાંત તેઓ ગુજરાતના બેનમૂન સ્થાપત્ય સમાન અડાલજની વાવની પણ મુલાકાત લેશે.
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાતના બે દિવસીય પ્રવાસે
મુલાકાત દરમિયાન અમદાવાદ ખાતે ‘વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી વ્યવસ્થા’ વિષય પર એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકશાહી પ્રક્રિયાને વધુ સુદ્રઢ અને પારદર્શક બનાવવા માટે રાજ્યના પ્રબુદ્ધ નાગરિકો, ચિંતકો અને વિષય નિષ્ણાતો સાથે વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવશે.ચૂંટણી પ્રક્રિયામાં પાયાની અને અત્યંત મહત્વની ભૂમિકા ભજવતા બૂથ લેવલ ઓફિસરોનો ઉત્સાહ વધારવા માટે CEC જ્ઞાનેશ કુમાર 500થી વધુ BLO અને 1000થી વધુ ઇલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC) ના સભ્યો સાથે સીધો સંવાદ સાધશે.
