ગાંધીનગરને અમદાવાદ એરપોર્ટ સાથે જોડતા માર્ગ પર ભાટ ચાર રસ્તા પરનો નવિન કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રવિવાર 5 જુલાઈ 2026ના રોજ વાહન વ્યવહાર માટે ખૂલ્લો મૂક્યો છે. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા મદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડા દ્વારા પચાસ-પચાસ ટકાની ભાગીદારીથી આ નવિન ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. રૂ.175 કરોડના અંદાજીત ખર્ચે નિર્માણ થયેલો 1.48 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજ રાજ્યના શહેરી વિસ્તારનો સૌ પ્રથમ કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજ છે.
ગાંધીનગર-અમદાવાદ તરફનો ટ્રાફિક બ્રિજ પરથી પસાર થશે
મુખ્યમંત્રીએ આ બ્રિજના લોકાર્પણ સાથે ગાંધીનગર-અમદાવાદ કોરિડોર પર કોબા સર્કલથી ભાટે સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલના હાલના 6 લેન બ્રિજનું ટ્વેલ્વ લેનમાં રૂપાંતર કરવાની કામગીરીનું પણ ખાતમૂર્હત કર્યુ હતું. ટ્રાફિક જામના કારણે બોટલનેકની સર્જાતી સ્થિતિના નિવારણ માટે કોબા સર્કલથી ભાટ સર્કલ વચ્ચેના હાલના બ્રિજની બંન્ને બાજુ ત્રણ-ત્રણ લેનના નવા બ્રિજના નિર્માણ માટે રૂ. 48 કરોડનો પ્રોજેક્ટ રાજ્ય સરકારે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આના પરિણામે સમગ્ર કોરિડોરમાં સતત છ લેનની ક્ષમતા જળવાઈ રહેશે અને ભવિષ્યના વધતા વાહન વ્યવહારને પણ સરળતાથી સંભાળી શકાશે. ગાંધીનર-કોબા-એરપોર્ટ રોડ અને એસ.પી. રિંગરોડ પર મળીને દરરોજ અંદાજે કુલ આશરે 1.93 લાખથી વધુ વાહનોની અવર-જવર રહે છે.
