ચોમાસાની સિઝનમાં શહેરમાં અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે. ઘેર ઘેર માંદગીના ખાટલા હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. અસારવા અને સોલા એમ બે સિવિલ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં ઓપીડીમાં 45797 દર્દીઓ સારવાર લેવા માટે દોડ્યા છે.જે પૈકી સિવિલમાં 30044 અને સોલામાં 15753 દર્દી નોંધાયા છે.એ જ રીતે ખાનગી હોસ્પિટલો-ક્લિનિકોમાં પણ દર્દીઓની ભારે ભીડ છે.
16 દિવસમાં નવા 420 દર્દીને સારવાર અપાઈ
સોલામાં સ્વાઈન ફ્લૂના એક સપ્તાહમાં 85 શંકાસ્પદ દર્દીને સારવાર અપાઈ છે.જે પૈકી 9 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે અસારવા સિવિલમાં સ્વાઈન ફ્લૂના બે સ્ટેબલ દર્દી છે જે પૈકી એકની ઓક્સિજન સહારે સારવાર ચાલી રહી છે.સિવિલમાં સપ્ટેમ્બરના 16 દિવસમાં ડેન્ગ્યુના 156 કેસ આવ્યા છે તો સોલામાં સપ્તાહમાં જ ડેન્ગ્યુના 552 શંકાસ્પદ દર્દીમાંથી 214 પોઝિટિવ એમ 370 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે.આમ મચ્છરજન્ય રોગની સાથે શરદી,ખાંસી, તાવના કેસોનો પણ રાફડો ફાટ્યો છે. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું કે,ડેન્ગ્યુના ઓગસ્ટમાં 94 કેસ હતા,સપ્ટેમ્બરના 16 દિવસમાં 156 નવા કેસ આવ્યા છે.વાયરલ ફીવરના 700 દર્દી હતા,સપ્ટેમ્બરના 16 દિવસમાં નવા 420 દર્દીને સારવાર અપાઈ છે.
