અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન અને LG હોસ્પિટલ ફરી એકવાર તેની કથળતી હાલતને કારણે ચર્ચામાં છે. આ હોસ્પિટલોને કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, તેમ છતાં તેની હાલત દયનીય છે. તાજેતરમાં જ, LG હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં શ્વાન આંટાફેરા કરતા જોવા મળ્યા હતા જે દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. આ દ્રશ્યો દર્શાવે છે કે હોસ્પિટલ તંત્રની બેદરકારી કેટલી હદે વધી ગઈ છે જ્યાં દર્દીઓની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ રહી છે. આવા સંવેદનશીલ વિભાગમાં શ્વાનનું ફરવું એ હોસ્પિટલની સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.


જૂની LG હોસ્પિટલની ઈમારત પણ અત્યંત જર્જરિત

હોસ્પિટલની આંતરિક દુર્દશા અહીં જ પૂરી થતી નથી. જૂની LG હોસ્પિટલની ઈમારત પણ અત્યંત જર્જરિત હાલતમાં છે. ઘણી જગ્યાએ સ્લેબ તૂટી ગયા છે અને તેમાંથી સળિયા સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે. કરોડો રૂપિયાના બજેટ છતાં હોસ્પિટલની જાળવણીનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. વરસાદની ઋતુમાં દર્દીઓ અને સ્ટાફ પર ગમે ત્યારે કોઈ દુર્ઘટના થવાનો ભય રહે છે. જોકે, આ અંગે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.

LG હોસ્પિટલની બેદરકારી!

હોસ્પિટલની આવી કથળતી હાલત છતાં સત્તાધીશો દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ LG હોસ્પિટલ જેવી મુખ્ય હોસ્પિટલોની અવગણના કરવામાં આવે છે. આ બેદરકારી દર્શાવે છે કે, જાહેર સ્વાસ્થ્ય સેવાઓ પ્રત્યે શાસન કેટલી ગંભીરતાથી વિચારે છે. જો તાત્કાલિક આ બાબતે કોઈ પગલાં લેવામાં નહિ આવે, તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના થવાની શક્યતા નકારી શકાય નહિ.


  • Follow us on: