અમદાવાદ શહેરમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે અગાઉ શૈક્ષણિક કાર્યને થયેલી અસરને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદના કારણે અભ્યાસમાં પડેલી ખાલીપો પૂરો કરવા માટે શાળાઓને રવિવારના દિવસે પણ નિયમિત સમય મુજબ ચાલુ રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે.

આખરી નિર્ણય શાળા સંચાલકોના હાથમાં

આ સૂચનને અમલમાં મૂકવા માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, રવિવારે શાળા શરૂ રાખવાનો આખરી નિર્ણય સંબંધિત શાળાના સંચાલકો પર જ રહેશે. સંચાલકોએ તે દિવસે પ્રવર્તમાન હવામાનની સ્થિતિ અને વિદ્યાર્થીઓની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખીને જ આ અંગેનો યોગ્ય નિર્ણય લેવાનો રહેશે.

અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવા માટે વિશેષ તજવીજ

વરસાદી માહોલ અને રજાઓને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરીત અસર ન પડે અને શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જળવાઈ રહે તે હેતુસર આ પગલું ભરવામાં આવ્યું છે. શાળાઓ પોતાના સ્તરે અનુકૂળતા મુજબ આ વ્યવસ્થા ગોઠવીને સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરી શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabadના સરખેજમાં મોટો દરોડો, આનંદ એસ્ટેટમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો