દર વર્ષે ગણેશ વિસર્જન વખતે પર્યાવરણ બચાવવાનો ઢોંગ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ધર્મના નામે આસ્થાના ધજાગરા ઉડી રહ્યા છે. કૃત્રિમ કુંડ બનાવવાના મોટા-મોટા દાવાઓ વચ્ચે વિઘ્નહર્તાની પવિત્ર પ્રતિમાઓ રોડ-રસ્તા પર અને કુંડની બહાર બિનવારસી હાલતમાં રઝળતી જોવા મળે તે અત્યંત શરમજનક અને આક્રોશજનક છે. તંત્ર દ્વારા માત્ર કાગળ પર જ વ્યવસ્થાઓ દર્શાવીને સંતોષ માની લેવાય છે, પરંતુ જમીની હકીકત એ છે કે અપૂરતી જગ્યા અને નબળા આયોજનના કારણે વિસર્જન કરવા આવેલા ભક્તો અડધેથી મૂર્તિઓ છોડી જવા મજબૂર બને છે. જેને દસ દિવસ સુધી પૂર્ણ શ્રદ્ધાથી પૂજીએ છીએ, તે જ બાપાની મૂર્તિઓ વિસર્જનના નામે કચરાની જેમ રઝળે તે આસ્થાનું ઘોર અપમાન નથી તો બીજું શું છે?
તંત્રની નાકામી કે ભક્તોની લાપરવાહી?
આ ધિક્કારપાત્ર સ્થિતિ માટે આખરે જવાબદાર કોણ છે? માત્ર નીતિ-નિયમો ઘડીને હાથ ઊંચા કરી લેતું તંત્ર કે પછી આસ્થાના આવેગમાં પર્યાવરણ અને પ્રતિમાના સન્માનને ભૂલી જતો ભક્તવર્ગ? પીઓપી (POP) ની મૂર્તિઓ પર પ્રતિબંધના પોકળ દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જ્યારે લાખોની સંખ્યામાં આ મૂર્તિઓ બજારમાં વેચાય છે ત્યારે તંત્ર આંખ આડા કાન કરીને ઊંઘતું રહે છે. વિસર્જનના દિવસે કુંડ પર પહોંચેલા ભક્તોને 'POP ની મૂર્તિ અંદર નહીં ચાલે' કહીને અટકાવી દેવાય છે. જો તંત્ર પાસે વૈકલ્પિક વ્યવસ્થા કે મોટા કુંડ બનાવવાની ક્ષમતા નહોતી, તો છેલ્લી ઘડીએ આ બહાનાબાજી શા માટે? પોતાની જવાબદારીમાંથી છટકી જવા માટે તંત્ર અને ભક્તો એકબીજા પર દોષ ઘાલીને પાપમાંથી મુક્ત થઈ શકે તેમ નથી.
