દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી વાતાવરણ વચ્ચે ભેજવાળા હવામાનના કારણે રેટિયા માખી દ્વારા ફેલાતા ચાંદીપુરા વાયરસના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, સમગ્ર રાજ્યમાંથી ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા કુલ 63 શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. પૂનાની વાયરોલોજી લેબોરેટરી અને રાજ્યની તપાસ ટીમો દ્વારા હાથ ધરાયેલા સેમ્પલ ટેસ્ટિંગમાં અત્યાર સુધીમાં 12 દર્દીઓમાં ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ (પોઝિટિવ) થઈ છે.
રાજ્યમાંથી ચાંદીપુરા વાયરસના 63 શંકાસ્પદ દર્દીઓ
સૌથી દુઃખદ બાબત એ છે કે આ વાયરસ મુખ્યત્વે 15 વર્ષથી ઓછી વયના બાળકો પર ઝડપથી આક્રમણ કરતો હોવાથી, અત્યાર સુધીમાં સારવાર દરમિયાન 9 બાળ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જિલ્લાવાર સ્થિતિ પર નજર કરીએ તો પંચમહાલ અને ખેડા જિલ્લામાં વાયરસનો ઉપદ્રવ વધુ જોવા મળ્યો છે, જ્યાં બબ્બે પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદ શહેર-જિલ્લા સહિત અન્ય 5 જિલ્લાઓમાં પણ એક-એક પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે.
