અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાથી સરકારી રેશનની દુકાનો પરથી મળતા ચોખાના જથ્થામાં સરકારે મોટો કાપ મૂક્યો છે.વર્ષોથી રેશનકાર્ડ ધારકોને વ્યક્તિદીઠ 3 કિલો ચોખા મળતા હતા.જેને બદલે હવે સપ્ટેમ્બરથી માત્ર 1 કિલો ચોખા જ અપાશે.આ કાપ સામે ચોખાની ભરપાઈ કરવા સરકાર દ્વારા વ્યક્તિદીઠ 2 કિલો ઘઉં અને 2 કિલો બાજરીનો જથ્થો નક્કી કરાયો છે. ચોખા ઘટાડી ઘઉં અને બાજરી વધારાતાં કાર્ડધારકોમાં નારાજગી છે.દાળ ભાત અને ખીચડી આધારિત ગુજરાતી પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.
દાળ-ભાત અને ખીચડીનું વિશેષ મહત્વ
રેશનિંગ દુકાન ચાલકોએ ગ્રાહકોને કહ્યું કે,ઘટાડાની જાણ અગાઉથી કરી નહોતી.જોકે ગ્રાહકોએ 3 કિલો ચોખા આપવા માગ કરી છે.ગુજરાતીઓના રોજિંદા ભોજનમાં દાળ-ભાત અને ખીચડીનું વિશેષ મહત્વ છે.આવી સ્થિતિમાં ચોખાનું પ્રમાણ ઘટી જતાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.સપ્ટેમ્બરનું રેશન લેવા પહોંચેલા કાર્ડધારકો અને રેશન સંચાલકો વચ્ચે અનાજના નવા વિતરણ નિયમોને લઈને અનેક જગ્યાએ તીખી રકઝકના બનાવો પણ સામે આવ્યા છે.રેશન દુકાનદારોનું કહેવું છે કે, તેઓ સરકારના પુરવઠા વિભાગની સૂચના મુજબ વિતરણ કરવા બંધાયેલા છે.
