ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ (VC) નીરજા ગુપ્તાના શાસનકાળ દરમિયાન થયેલી ગેરરીતિઓ અને કૌભાંડોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અગાઉ ચર્ચાસ્પદ બનેલા ભરતી કૌભાંડનો વિવાદ હજુ શાંત થયો નથી, ત્યાં જ કેન્દ્ર સરકાર તરફથી મળેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટમાં નાણાકીય ગોટાળા કર્યાનું વધુ એક સળગતું પ્રકરણ સપાટી પર આવ્યું છે.
GUના પૂર્વ VC નીરજા ગુપ્તાનું વધુ એક કારસ્તાન
મળતી વિગતો અનુસાર, 15 સપ્ટેમ્બરના રોજ નીરજા ગુપ્તાએ યુનિવર્સિટીની સર્વોચ્ચ કારોબારી સમિતિ 'સિન્ડિકેટ'માં કોઈ પણ પ્રકારની ચર્ચા કે મંજૂરી લીધા વિના જ પોતાની જાતે 'પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર'ના હોદ્દા પર નિમણૂક કરી દીધી હતી. નીરજા ગુપ્તાને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે દર મહિને રૂ. 2.50 લાખનો સત્તાવાર પગાર ચૂકવવામાં આવતો હતો. તેમ છતાં, તેમણે કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ (PMJVK) હેઠળ યુનિવર્સિટીને ફાળવવામાં આવેલી રૂ. 40 કરોડની ગ્રાન્ટ પોતાના ખાતામાં જમા લઈ લીધી હતી.
