રામોલમાં થયેલા ભયાનક બ્લાસ્ટે તંત્રની આંખો ઉઘાડી દીધી છે. આ દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો વચ્ચે સમગ્ર અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા ફટાકડાના એકમો પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન ગઈકાલે ગ્યાસપુર વિસ્તારમાં એક મોટી ફટાકડા બનાવવાની ફેક્ટરી ધમધમતી મળી આવી હતી. જ્યારે વહીવટી અધિકારીઓએ લાયસન્સ અને ફાયર એનઓસી (NOC) ની માંગણી કરી, ત્યારે સંચાલકો પાસે એક પણ માન્ય કાગળ ઉપલબ્ધ નહોતો. 9 લોકોના મોત થયા હોવા છતાં આ ફેક્ટરી બેરોકટોક ચાલુ રાખવામાં આવી હતી.

ગેરકાયદેસર ફેક્ટરીઓ સામે કાર્યવાહી

આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને ઉચ્ચ સત્તાધીશોના આદેશ બાદ મોડી રાત્રે ગ્યાસપુરની આ ફેક્ટરી પર એક મોટું મિડનાઇટ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું હતું. ફેક્ટરીમાં ફટાકડાનો તૈયાર જથ્થો અને તેને બનાવવા માટે વપરાતો ઘાતક દારૂગોળો (ગન પાવડર) અને અન્ય રો-મટીરિયલ મોટા પ્રમાણમાં હાજર હતું.

વિસ્ફોટક સામગ્રી પર પાણી નાખીને નકામી કરી

પાણી નાખીને બારૂદનો કરાયો નાશ: વિસ્ફોટક જથ્થો હોવાના કારણે તેને જપ્ત કરીને અન્ય જગ્યાએ લઈ જવામાં મોટું જોખમ હોવાથી, તંત્રએ સ્થળ પર જ તેનો નિકાલ કરવાનો નિર્ણય કર્યો હતો. મોડી રાત્રે ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવીને ફેક્ટરીના તમામ સામાન અને ફટાકડાના જથ્થા પર સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. વિસ્ફોટક સામગ્રી સંપૂર્ણપણે પાણીમાં ઓગળીને નકામી ન થઈ ગઈ ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. મોડી રાત્રે લેવાયેલા આ કડક કાનૂની પગલાંથી ગેરકાયદેસર કારોબારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે ફેક્ટરીના માલિકો વિરુદ્ધ લાયસન્સ ભંગ અને માનવ જિંદગી જોખમમાં મૂકવા બદલ કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: વરાછા ફ્લાયઓવર બ્રિજ પર ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં અકસ્માત, એક યુવકનું ઘટનાસ્થળે જ મોત