અમદાવાદમાં આગામી રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવા માટે પોલીસ કમિશનર કચેરી ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વની બેઠકમાં રાજ્યના પોલીસ વડા (DGP), અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા.આ ઉપરાંત જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠક દરમિયાન રથયાત્રાના સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત,કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ કટોકટીના સમયની સુરક્ષા વ્યવસ્થાઓ સહિતના તમામ સંવેદનશીલ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
અમદાવાદ પોલીસ કમિશ્નરનું જાહેરનામું
અમદાવાદમાં આગામી રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુદ્રઢ ટ્રાફિક વ્યવસ્થા સાથે સંપન્ન કરવા માટે પોલીસ કમિશનર દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ જાહેરનામા અનુસાર,આગામી 15 અને 16 જુલાઈના રોજ રથયાત્રાના સમગ્ર રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.જેમાં જમાલપુરથી લઈને સરસપુર,માણેકચોક અને BRTS રૂટ સહિતના તમામ મુખ્ય માર્ગો પર વાહનો પાર્ક કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.આ કડક નિયમનો અમલ 15 જુલાઈની રાત્રે 12 વાગ્યાથી શરૂ થઈને રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહેશે.જેથી યાત્રા દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય અને કટોકટીના સમયે ઈમરજન્સી વાહનો સરળતાથી અવરજવર કરી શકે.
