બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુએ પોતાની તબિયત લથડતા ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન (વચગાળાના જામીન) માટે અરજી કરી છે. તેમના વકીલે કોર્ટમાં આસારામના હેલ્થ રિપોર્ટ રજૂ કરી, તેમની ગંભીર બિમારી અને તબીબી સારવારની જરૂરિયાતનો હવાલો આપ્યો હતો. આસારામ હાલ જોધપુર જેલમાં સજા કાપી રહ્યા છે, અને તેમના વકીલનું કહેવું છે કે તેમની તબિયત ખૂબ જ નાજુક છે, જેના કારણે તેમને તાત્કાલિક જામીન આપવામાં આવે.
નિયમિત જામીન પેન્ડિંગ તો હંગામી જામીન કેમ?
આસારામની અરજી પર સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે તેમના વકીલને ગંભીર સવાલ કર્યો હતો. કોર્ટે પૂછ્યું કે, જ્યારે આસારામની નિયમિત જામીન અરજી પહેલેથી જ જોધપુર કોર્ટમાં પેન્ડિંગ છે, તો પછી હાઈકોર્ટમાં હંગામી જામીન માટે અરજી કેમ કરવામાં આવી છે? કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, એક જ મુદ્દા પર બે અલગ-અલગ કોર્ટમાં અરજી કરવી કાયદેસર રીતે યોગ્ય નથી. કોર્ટે આ મુદ્દા પર વધુ સ્પષ્ટતા માંગી છે.













