અમદાવાદની શાન સમાન જગન્નાથજીની વાર્ષિક રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર જમાલપુર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાઈ ગયું છે. રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી જે પવિત્ર અને ભવ્ય પોશાક પહેરીને નગરચર્યાએ નીકળવાના છે, તે વિશેષ 'રજવાડી વાઘા' આજે વિધિવત રીતે મંદિરમાં લાવવામાં આવ્યા છે. દર વર્ષની પરંપરા મુજબ, આ વાઘાને સીધા ગર્ભગૃહમાં લઈ જવાના બદલે સૌપ્રથમ એક સુંદર શોભાયાત્રાના સ્વરૂપમાં મંદિરની આસપાસ ફેરવીને વાજતે-ગાજતે પધરામણી કરાવવામાં આવી હતી.

શોભાયાત્રામાં ગજરાજો અને ભક્તોનો ભવ્ય ઉત્સાહ

આ વાઘા યાત્રામાં મંદિરના શણગારેલા ગજરાજો (હાથીઓ) સૌથી આગળ ચાલતા હતા, જેમના આશીર્વાદ લેવા સ્થાનિકો ઉમટ્યા હતા. તેમની પાછળ પરંપરાગત પોશાકમાં સજ્જ ભજન મંડળીઓ કરતાલ અને પખવાજના તાલે હરિનામ સંકીર્તન કરતી જોડાણી હતી. મંદિરના પૂજ્ય મહંતશ્રીએ સ્વહસ્તે ભગવાનના વાઘા અને મુખ્ય અલંકારોની પેટી મસ્તક પર ધારણ કરીને શોભાયાત્રાની આગેવાની કરી હતી. સમગ્ર રૂટ પર ભક્તો દ્વારા ગુલાબના ફૂલોની વર્ષા કરીને વાઘાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 'જય રણછોડ, માખણચોડ' અને 'જગન્નાથજીની જય' ના નારાઓથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

બપોર પછી વાઘાના દર્શન માટે દર્શનાર્થીઓનો ધસારો

મંદિરના મુખ્ય સભાખંડમાં વાઘા અને રજવાડી અલંકારોને ભક્તોના પ્રત્યક્ષ દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવતા જ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ચાલુ વર્ષે ભગવાન માટે અત્યંત બારીક કસબી વર્ક અને રેશમી દોરાના મિશ્રણથી તૈયાર થયેલા મરૂન, પીળા અને લીલા રંગના રજવાડી વાઘા તૈયાર કરવામાં આવ્યા છે, જેની સાથે સોના અને ડાયમંડ લુક ધરાવતા વિશેષ મુંગટ તેમજ કાનના કુંડળ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભક્તોએ ભજન-કીર્તનની રમઝટ વચ્ચે ભાવવિભોર થઈને ઠાકોરજીના આ દિવ્ય પોશાકના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પ્રશાસન દ્વારા રથયાત્રાના મુખ્ય દિવસ માટે સુરક્ષા અને દર્શનની વ્યવસ્થાના ભાગરૂપે બેરિકેડિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Surat: ઉધના સ્થિત અશોક નગરમાં પિતા બાદ પુત્ર વિક્કીની પણ ઘાતકી હત્યા, જાવેદ નામના શખ્સને પકડવા પોલીસની દોડધામ