અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ગત 27 જૂનના રોજ વિજયપાર્કના મારૂતી પ્લાઝા પાસેથી પસાર થઈ રહેલા એક વેપારીની કારને ટાર્ગેટ કરવામાં આવી હતી. આરોપીઓએ પોતાની ગાડી ઈરાદાપૂર્વક વેપારીની કાર સાથે અથડાવીને અકસ્માત સર્જ્યો હતો. ત્યારબાદ અકસ્માત અંગે ઝઘડો કરી તક મળતાં જ કારનો કાચ તોડી અંદર રાખેલા રૂ. 50 લાખ રોકડા લૂંટીને ફરાર થઈ ગયા હતા.

અમદાવાદ પોલીસનું મોટું ઓપરેશન

આ ચકચારી લૂંટ કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને અગાઉ મુખ્ય આરોપી અજયની પત્ની દિવ્યાની ધરપકડ કરી તેની પાસેથી લૂંટના ૨૫ લાખ રૂપિયા અને અન્ય આરોપી વિશાલ ઉર્ફે ભાઉ પાસેથી 5 લાખ રૂપિયા રિકવર કર્યા હતા.લૂંટની ઘટના બાદ મુખ્ય આરોપી અજય ઉર્ફે અજૂબા પોલીસથી બચવા માટે સતત પોતાના ઠેકાણા બદલતો હતો. તે પાવાગઢ, રાજસ્થાન, દિલ્હી અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં છુપાતો ફરતો હતો. પોલીસ પકડથી દૂર રહેવા માટે તે મોબાઇલ ફોનનો ઉપયોગ પણ કરતો ન હતો. જોકે, ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે પોલીસે તેને સાણંદથી દબોચી લીધો છે.

કૃષ્ણનગરમાં 50 લાખની લૂંટનો મુખ્ય માસ્ટરમાઇન્ડ ઝડપાયો

મુખ્ય આરોપી અજૂબા પકડાતાં પોલીસે તેની પાસેથી વધુ 15 લાખ રૂપિયા રિકવર કર્યા છે, જે સાથે 50 લાખમાંથી 45 લાખ રૂપિયા પોલીસ કબ્જે કરી ચૂકી છે.પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે અજૂબા વર્ષ 2020 થી લૂંટ અને ચોરીની પ્રવૃત્તિઓમાં સક્રિય હતો. વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેની સામે 47 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે.પોલીસે અજૂબાની ધરપકડ કરી વધુ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જ્યારે આ લૂંટના ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Dwarka: દ્વારકા પોલીસે જાહેરનામાના ભંગ બદલ નોંધ્યો ગુનો, ન્યૂઝીલેન્ડથી આવેલા અને સુરતમાં રહેતા રાહુલ વસતાપરાની અટકાયત