અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના શુદ્ધ પાણીના દાવાઓ વચ્ચે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અમદાવાદ શહેરના મેમ્કો વિસ્તારમાં આવેલા સૈજપુર વોર્ડમાં દૂષિત પાણીના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં ઘરોમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું ગંદુ પાણી મિક્સ થઈને આવતું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ પાણીમાં તીવ્ર ગંધ પણ આવે છે.


અનિલ વકીલની ચાલીમાં રોગચાળાની ભીતિ

અમદાવાદ શહેરના સૈજપુર વોર્ડમાં આવેલી અનિલ વકીલની ચાલીમાં છેલ્લા ઘણા સમયથી નળમાં દૂષિત અને વાસ મારતું પાણી આવી રહ્યું છે. આ ઝેરી સમાન દૂષિત પાણી પીવાના કારણે સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. વિસ્તારમાં ઝાડા-ઉલ્ટી અને પેટના દુખાવાના અસંખ્ય કેસો સામે આવી રહ્યા છે. નાના બાળકોથી લઈને મોટેરાઓ આ દૂષિત પાણીના કારણે બીમાર પડી રહ્યા છે, જેને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો આ દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન અને ભૂખ હડતાલ કરવા સુધીની તૈયારી સ્થાનિકોએ દર્શાવી છે.

અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, પાણીની પાઈપલાઈનમાં ગટરનું પાણી ભળવાની આ સમસ્યા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સબંધિત અધિકારીઓ અને સ્થાનિક કાઉન્સિલરોને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

વારંવારની રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ ન આવતા લોકો હવે એ સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું તંત્ર કોઈ મોટી હોનારત કે મહામારીની રાહ જોઈને બેઠું છે? સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો વહેલી તકે શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.


આ પણ વાંચો - Ahmedabad News: રખડતાં પશુ કરતાં શ્વાન અને બિલાડીનો ડર વધ્યો, 3 મહિનામાં ફરિયાદોનો ઢગલો થયો


  • Follow us on: