અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં ગણેશ મહોત્સવના આયોજન દરમિયાન પોલીસ જાહેરનામાના ભંગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવા નરોડામાં બાપાસીતારામ ચોક પાસે આવેલા હરિવિલા ફ્લેટના મુખ્ય ગેટ નજીક જાહેર રોડ પર ગણેશ મંડપ બાંધીને મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. કૃષ્ણનગર પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન તપાસ કરતા આ મંડપમાં નિયમો વિરુદ્ધ જઈને મૂર્તિ મૂકવામાં આવી હોવાનું માલૂમ પડ્યું હતું.
મંજૂરી 8.5 ફૂટની અને સ્થાપના 22.5 ફૂટની કરાઈ
પોલીસ તપાસમાં આયોજક સચિન કુમાવત સામે આવ્યું હતું કે, તેમણે મંજૂરી મેળવતી વખતે 8.5 ફૂટની મૂર્તિ સ્થાપવાની પોલીસ પરમિટ દર્શાવી હતી, પરંતુ પોલીસે સ્થળ પર જઈને આખી સંરચનાની માપણી કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. સ્થાપના સ્થળે આશરે 4.5 ફૂટ ઊંચી ટ્રોલી પર 11 ફૂટની ગણેશજીની મૂર્તિ મૂકાઈ હતી. આટલું જ નહીં, મૂર્તિની પાછળ 7 ફૂટનું શંકર ભગવાનનું ફાઈબરનું સ્કલ્પચર પણ ગોઠવવામાં આવ્યું હતું. આમ, ટ્રોલી અને બેકગ્રાઉન્ડ સહિત સમગ્ર સ્થાપનાની કુલ ઊંચાઈ આશરે 22.5 ફૂટ થઈ જતી હતી.

