અમદાવાદ શહેરમાં આગામી ઐતિહાસિક રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા, કોમ્બિંગ અને નાઇટ પેટ્રોલિંગના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગઈકાલે મોડી રાત્રે ન્યૂ રાણીપ વિસ્તારમાં બનેલી એક હિંસક ઘટનાએ પોલીસની સક્રિયતા સામે મોટા સવાલો ખડા કર્યા છે. મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર 8 થી 10 લોકોના એક હિંસક ટોળાએ એક યુવકને નિશાન બનાવ્યો હતો. ટોળાએ યુવકને ઘેરીને નિર્દયતાથી ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું.
ન્યૂ રાણીપ વિસ્તારમાં યુવકને માર માર્યો
વાત આટલેથી ન અટકતા, હુમલાખોરોએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયારો વડે યુવક પર આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. જાહેર રોડ પર હથિયારો ઉછળતા જોઈને આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલો યુવક પોતાનો જીવ બચાવવા માટે લોહીલુહાણ હાલતમાં જ રસ્તાની વચ્ચે જીવ હથેળીમાં મૂકીને દોડતો જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક રહીશોએ તુરંત જ કંટ્રોલ રૂમમાં પોલીસને જાણ કરી હતી, પરંતુ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ હુમલાખોરો અંધારાનો લાભ લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
