પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને અમદાવાદ વચ્ચે દોડતી લોકપ્રિય વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના શેડ્યુલ અને ટર્મિનસમાં મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. આવતીકાલે એટલે કે 17 ઓગસ્ટથી આ ટ્રેન અમદાવાદ જંક્શન (કાલુપુર) ને બદલે સાબરમતી સ્ટેશનથી ઉપડશે અને ત્યાં જ આવીને પોતાની સફર પૂર્ણ કરશે.
વંદે ભારત ટ્રેનના મુસાફરો માટે મોટા સમાચાર
અમદાવાદ સ્ટેશન પર વધી રહેલા રેલવે ટ્રાફિક અને પુનઃવિકાસના કામગીરીના કારણે ટ્રેનોના ટ્રાફિકનું ભારણ ઘટાડવા તેમજ મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા આ પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે.આ ફેરફાર સાથે રેલવે તંત્ર દ્વારા મુસાફરોની લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખીને આંબલી રોડ સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને નવું સ્ટોપેજ આપવાની જાહેરાત કરવામાં આવી છે. બોપલ, સરખેજ, એસ.જી. હાઇવે અને પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં રહેતા લોકોને હવે કાલુપુર કે સાબરમતી સુધી લાંબા થવાની જરૂર નહીં રહે અને તેઓ આંબલી સ્ટેશનથી જ સીધા વંદે ભારત ટ્રેનમાં બોર્ડિંગ કરી શકશે.
