તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વસંધ્યાએ આયોજિત રક્તદાન કાર્યક્રમને માત્ર ઉજવણી નહીં, પરંતુ જીવન બચાવવાનો મહાયજ્ઞ ગણાવ્યો હતો. આ તકે મુખ્યમંત્રીએ ઑફિશિયલ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ, યુરોપ તથા વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ, લંડનના પ્રતિનિધઓના હસ્તે ૫૬,૨૫૬ યુનિટ રક્ત એકત્ર કરવા અંગેના વિશ્વ વિક્રમનો સ્વીકાર કરી, એકત્રિત રક્ત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને સમર્પિત કર્યું હતું.
છેલ્લાં ૧૦ વર્ષમાં દેશના ૨૫ કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ રક્તદાન કાર્યક્રમનું આયોજન કરીને કર્મચારી મંડળ, શિક્ષણ સંઘ અને વિવિધ વિભાગના કર્મચારીઓએ સમાજસેવાનું પ્રતિબિંબ પૂરું પાડ્યું છે. તેમણે વડાપ્રધાનના શબ્દો દોહરાવતાં ઉમેર્યું કે આર્થિક દાન કરવામાં આવે, ત્યારે તેની તખ્તી લાગે છે, પણ રક્તદાતા સાયલન્ટ ડોનર છે, અને એટલે જ આ મહાદાન છે. પટેલે કહ્યું કે વડાપ્રધાનS જનસેવાને જીવનમંત્ર બનાવીને ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે દેશમાં વિકાસનો નવો અધ્યાય રચ્યો છે. તેમના નેતૃત્વમાં જે નીતિઓ નિર્માણ પામી તેના કેન્દ્રમાં ગરીબ, વંચિત અને છેવાડાનો માનવી રહેલો છે. તેના જ પરિણામસ્વરૂપ, છેલ્લાં ૧૦ વર્ષમાં દેશના ૨૫ કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
રક્તદાનનો સંકલ્પ એ વડાપ્રધાન નરેન્દ્રમોદીમાં લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે
તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં ગરીબ કલ્યાણ સાથે દેશની સીમાઓ પણ સુરક્ષિત છે. તેમની અડગ નિર્ણાયકતાના કારણે જ દેશની બહાદુર સેનાએ ઓપરેશન સિંદૂર નવા ભારતની શક્તિ દેશ અને દુનિયાને દર્શાવી છે. ઓપરેશન સિંદૂર માટે ૧૪૦ કરોડ દેશવાસીઓ વડાપ્રધાન અને સેનાને અભિનંદન આપી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું. પટેલે કહ્યું કે જેમ રક્ત એ શરીરમાં ચાલકબળ છે, એ જ રીતે આટલી મોટી સંખ્યામાં રક્તદાનનો સંકલ્પ એ વડાપ્રધાન નરેન્દ્રમોદીમાં લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે. જે લોકોનો વડાપ્રધાન માટે વિશ્વાસ દર્શાવે છે કે તેઓ નવા અને વિકસિત ભારતનું પ્રેરણાબળ છે.
માનવતાના પવિત્ર કાર્યમાં તમામ રક્તદાતાઓ એક અર્થમાં દેવદૂત સમાન છે
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે વર્ષ-૨૦૧૪થી વડાપ્રધાનના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તા.૧૭મી સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી સેવા પખવાડિયાનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ ગરીબોને તેમનો હક સીધો જ પ્રાપ્ત થાય, તે હેતુથી સેચ્યુરેશન અપ્રોચ અપનાવ્યો છે. તેમણે ઉમેર્યું કે રક્તદાન એ માત્ર જીવનદાનનું કાર્ય નથી, પરંતુ કરુણા, પ્રેમ અને સામાજિક જાગૃતિનું પ્રતીક છે. એક વ્યક્તિના રક્તદાનથી કોઈ માતાને તેમનો પુત્ર મળી શકે છે, કોઈ બાળકને તેમના પિતાનો ચહેરો જોઈ શકે છે અને કોઈ વ્યક્તિના જીવનમાં આશાનું કિરણ પ્રસરી શકે છે. માનવતાના પવિત્ર કાર્યમાં તમામ રક્તદાતાઓ એક અર્થમાં દેવદૂત સમાન છે તેમ તેમણે ઉમેર્યું હતું.
અત્યાર સુધીમાં ઓનલાઇન તથા ઓફલાઈન મળીને કુલ ૨,૨૧,૭૯૭ જેટલા રક્તવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સાથે સ્વચ્છ ભારત અને મેદસ્વિતા મુક્ત ભારતનું પણ આહવાન કર્યું છે. લોકોના જીવનને ઉન્નત બનાવવા માટે તેમણે આહાર, આવાસ, આરોગ્ય અને આવકના ચાર સ્તંભ દર્શાવ્યા છે. ત્યારે સૌ ઉપસ્થિતોને યોગ, પ્રાણાયામ અને કસરત દ્વારા મેદસ્વિતા મુક્ત ગુજરાતની ઝૂંબેશમાં જોડાઈને, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન દ્વારા રક્તદાન કરીને કોઈકના જીવનના દાતા બનવા સૌને અપીલ કરી હતી. આ તકે મદદગાર પરિવારના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઓનલાઇન તથા ઓફલાઈન મળીને કુલ ૨,૨૧,૭૯૭ જેટલા રક્તવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે એક લાખના નિયત લક્ષ્યાંકના બમણાંથી પણ વધુ છે.
રાજ્યના કર્મચારી મંડળ અને વિવિધ શૈક્ષણિક સંઘોના પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરના કર્મચારી મંડળો અને સંઘો દ્વારા વડાપ્રધાનના જન્મદિન અને ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે 'નમો કે નામ રક્તદાન' કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં ૩૭૮ સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત, એક લાખ યુનિટ રક્ત એક્ત્ર કરવાનું આયોજન છે. આ કાર્યક્રમમાં અમદાવાદનાં મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય અમિતભાઈ શાહ, ડે. મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શહેર અધ્યક્ષ પ્રેરક શાહ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સના દિવ્યાંગભાઈ ગાંધી, ઑફિશિયલ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સના સુમિતભાઈ ચૌધરી, મદદગાર પરિવારના કાર્યકરો, રાજ્યના કર્મચારી મંડળ અને વિવિધ શૈક્ષણિક સંઘોના પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.