અમદાવાદમાં યોજાનારી 149મી રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા અને મિનિટ-ટુ-મિનિટ આયોજન અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતવાર માહિતી આપી હતી.તેમણે જણાવ્યું કે, અષાઢી બીજના દિવસે વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભગવાનની મંગળા આરતી કરવામાં આવશે.જેના માટે ભક્તો સરળતાથી દર્શન કરી શકે તેવી અલાયદી તૈયારીઓ કરાઈ છે.સવારે 7 વાગ્યાથી શરૂ થઈને રાત્રે 8.30 વાગ્યા સુધીમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે પ્રકારનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર સુરક્ષા વ્યવસ્થાને ઝીરો રિસ્ક પોલિસી હેઠળ તૈયાર કરવામાં આવી છે.
ડ્રોન-એન્ટી ડ્રોન અને AI ટેકનોલોજીથી સજ્જ સુરક્ષા કવચ
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે, અમદાવાદમાં રથયાત્રા દરમિયાન 30 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ ખડેપગે તૈનાત રહેશે અને કોઈપણ અફવા ફેલાવનારાઓ સામે સાયબર ક્રાઈમ અને કંટ્રોલ રૂમ દ્વારા કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.રથયાત્રાના સમગ્ર રૂટ પર બાજ નજર રાખવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે.ટેકનિકલ વિંગ હેઠળ કાર્યરત 3600 સીસીટીવી કેમેરાનું લાઈવ ફીડ સીધું કંટ્રોલ રૂમમાં મેળવવામાં આવશે.જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી દ્વારા શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રખાશે.પોકેટમારો અને અસામાજિક તત્વોને ડામવા પોલીસ પાસે 65000 જેટલા ગુનેગારોનો ડેટાબેઝ તૈયાર છે.હવામાંથી દેખરેખ રાખવા દર અડધા કિલોમીટરના અંતરે 100 જેટલા ડ્રોન કેમેરા પેટ્રોલિંગ કરશે અને સુરક્ષાના ભાગરૂપે એન્ટી-ડ્રોન સિસ્ટમ પણ કાર્યરત રહેશે.આ ઉપરાંત રથયાત્રાના રૂટમાં આવતા તમામ ઊંચા ધાબા અને સંવેદનશીલ મકાનો પરથી પણ સુરક્ષા જવાનો નજર રાખશે.
