કેન્દ્ર સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય દ્વારા ભારતની સ્વદેશી શિપબિલ્ડિંગ અને શિપ રિપેરિંગ ક્ષમતાને વૈશ્વિક સ્તરે મજબૂત કરવા માટે ગુજરાતમાં બે મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.સરકારની શિપબિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ આ મંજૂરી આપવામાં આવી છે.જેનો મુખ્ય હેતુ વિદેશી યાર્ડ્સ પર ભારતની નિર્ભરતા ઘટાડી દેશને આત્મનિર્ભર બનાવવાનો છે.મેરિટાઇમ અમૃતકાળ વિઝન 2047 અંતર્ગત આ પ્રોજેક્ટ્સ દરિયાઈ ક્ષેત્રે ક્રાંતિકારી સાબિત થશે.આ મંજૂરી હેઠળ ગુજરાતના પોરબંદર જિલ્લામાં અંદાજે 2 હજાર એકર જેટલી વિશાળ જમીન પર દેશનું અદ્યતન ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર સ્થાપવામાં આવશે.

કૌશલ્ય વિકાસ કેન્દ્રોનો સમાવેશ કરવામાં આવશે

કેન્દ્ર સરકારના બંદરો અને જળમાર્ગ મંત્રાલય દ્વારા ગુજરાતના પોરબંદર જિલ્લામાં અદ્યતન ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર સ્થાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે.આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને શિપબિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત નેશનલ શિપબિલ્ડિંગ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક ગુજરાતના માધ્યમથી વિકસાવવામાં આવશે.પોરબંદરના કુચડી વિસ્તારમાં અંદાજે 2 હજાર એકર જેટલી વિશાળ જમીન પર સાકાર થનારા આ ક્લસ્ટરમાં આધુનિક શિપયાર્ડ, સહાયક ઉત્પાદન એકમો, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્ય વિકાસ કેન્દ્રોનો સમાવેશ કરવામાં આવશે.

વિકસિત ભારતના વિઝનને વધુ મજબૂત બનાવશે

આ મેગા ક્લસ્ટરની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 12થી 15 લાખ ગ્રોસ ટનેજ ધરાવતા મોટા કોમર્શિયલ જહાજો બનાવવાની રહેશે.જે ભારતની સ્વદેશી શિપબિલ્ડિંગ ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો કરશે.આ પ્રોજેક્ટ દેશના આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના વિઝનને વધુ મજબૂત બનાવશે.આ ઉપરાંત આ જ યોજના અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે પણ 1570 કરોડના માતબર ખર્ચે એક અત્યાધુનિક શિપ રિપેર સુવિધાના નિર્માણને કેન્દ્ર સરકાર દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે.આ ક્લસ્ટરના કારણે ભારતમાં જ મોટા કદના જહાજોનું નિર્માણ શક્ય બનશે અને સ્થાનિક સ્તરે હજારો રોજગારીની તકો ઊભી થશે.

આ પણ વાંચોઃ Aravalli News: જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોને મુશ્કેલી, પાણી વગર પાક સુકાવાની તૈયારીમાં