અમદાવાદના શાળા સંચાલક મંડળ દ્વારા બાળકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે એક અત્યંત મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સંચાલક મંડળે રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને વિધિવત પત્ર લખીને રાજ્યની તમામ શાળાઓના કેમ્પસ તેમજ શાળાથી 100 મીટરના વિસ્તારમાં જંકફૂડ અને બિનઆરોગ્યપ્રદ ખોરાકના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની મક્કમ માગ કરી છે.
બાળકોમાં વધતા ગંભીર રોગો અંગે ચિંતા વ્યક્ત કરાઈ
નાના બાળકો અને વિદ્યાર્થીઓમાં ઓછી ઉંમરે ગંભીર રોગો અને આરોગ્ય વિષયક સમસ્યાઓના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને આ રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વિદ્યાર્થીઓનું આરોગ્ય એ રાજ્યના ભવિષ્યનું આરોગ્ય છે. આથી બાળકોને અસ્વાસ્થ્યપ્રદ, વાસી કે હલકી ગુણવત્તાવાળું ભોજન મળતું અટકે તે માટે કડક માર્ગદર્શિકા બનાવવી અનિવાર્ય છે.

શાળા કેન્ટીનનું મનપામાં રજિસ્ટ્રેશન ફરજિયાત કરવા કવાયત
વિદ્યાર્થીઓની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મંડળે મહત્વના સુઝાવો આપ્યા છે:
- કેન્ટીન રજિસ્ટ્રેશન: શાળાઓમાં ચાલતી તમામ કેન્ટીનનું સંબંધિત મહાનગરપાલિકામાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવવું.
- ગુણવત્તાના ધોરણો: કેન્ટીનમાં અપાતા ભોજન માટે ચોક્કસ ગુણવત્તાના ધોરણો અને નિયમાવલી નક્કી કરવી.

જાગૃતિ કાર્યક્રમો અને કડક નીતિ-નિયમો અમલી બનાવવા અપીલ
જંકફૂડ ઉપરાંત નશાકારક પદાર્થોના દૂષણથી બાળકોને દૂર રાખવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે જાગૃતિ કાર્યક્રમો યોજવા માટે પણ મંડળે અનુરોધ કર્યો છે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓ માટે આરોગ્યપ્રદ ખોરાક અંગેની એકસરખી નીતિ અમલમાં મૂકવા સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો - Ahmedabad News: બગોદરા ટોલટેક્સ પાસે રૂ. 26.81 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ, 41.94 લાખનો મુદ્દામાલ જપ્ત