અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 9 નિર્દોષ લોકોના કરુણ મોત બાદ આખરે સરકારી તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્યું છે. આ ભયાનક દુર્ઘટના પગલે તંત્રએ તાબડતોબ એક્શન મોડમાં આવીને ખુલ્લા ખેતરમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા અન્ય 2 ફટાકડાના એકમોને તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધા છે. બીજી તરફ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા સાત લોકોના મૃતદેહ દાહોદ લવાયા છે. એક જ પરિવારના સાત લોકોના મોત થતાં ગામ શોકમગ્ન બન્યું છે. બીજી તરફ એક શ્રમિકે કેવી રીતે કામ થતું તેની પણ વાત કરી હતી. 

એક જ પરિવારના સાત લોકોના મોત

અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમાંથી સાત લોકો એક જ પરિવાર અને દાહોદના ગોવિંદતળાઈ ગામના લોકો હતાં. તેમના મૃતદેહ ગામમાં પહોંચતા જ ગામ હિબકે ચડ્યું હતું. એક સાથે સાત અર્થી ઉઠતા ગામમાં શોક ફેલાયો હતો. મામલતદાર અને પોલીસ અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતાં અને સાંત્વના પાઠવી હતી. દાહોદના એક સ્થાનિક રાકેશ બારીયાએ આ ઘટનાને લઈને કહ્યું હતું કે, ફેક્ટરીમાં રોજ 12 કલાક કામ કરવું પડતું હતું. દાહોદથી અમદાવાદ સુધી મજૂરી કરવા શ્રમિકો આવતા હતાં. માત્ર 400 રૂપિયા રોજની આવક લેવા સાત લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે.  

વિકલાંગ પિતાએ યુવાન દીકરાની અંતિમ વિધિ કરી

આ ઉપરાંત ખેડા જિલ્લાનો પણ એક શ્રમિક આ ઘટનામાં મૃત્યુ પામ્યો છે. કપડવંજ સૈયદવાડા વિસ્તારમાં રહેતા અસરાલઅલી ઈરફાનઅલી સૈયદનું પણ આ ઘટનામાં મોત થયું છે. અસરલઅલી અમદાવાદમાં તેની માસી ના ઘરે રહી ફેક્ટરીમાં કામ કરતો હતો.વિકલાંગ પિતાએ આજે સવારે આશાસ્પદ યુવાન દીકરાની અંતિમવિધિ કરી હતી. વિકલાંગ પિતા ઈરફાન અલી સૈયદ રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે.

બ્લાસ્ટ સ્થળથી 500 મીટરે છે બીજી ફેક્ટરી

આ ઘટના બાદ તંત્ર જાગ્યુ છે અને આવી ફેક્ટરીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. એએમસીએ ગ્યાસપુર વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં સામે આવ્યું છે કે, લાઈસન્સ રિન્યૂ નહીં થયું હોવા છતાં ફેક્ટરી ચાલતી હતી. જાન્યુઆરી મહિનામાં રિન્યૂ માટે અરજી આપી હતી. પોલીસ કે એએમસીને આ બાબતે તપાસ કરવામાં કોઈ રસ જ ના હોય તેવી વિગતો સામે આવી છે. 6 મહિના સુધી લાયસન્સના નામે કામ ચાલતું રહ્યું હતું. બીજી તરફ રામોલમાં વધુ એક ફટાકડાની ફેક્ટરી સામે આવી છે. બ્લાસ્ટ થયો તે સ્થળથી 500 મીટર દૂર બીજી ફેક્ટરી ચાલી રહી છે. રહેણાંક વિસ્તારમાં જ ફેક્ટરી ધમધમી રહી છે. ફરી આવી જ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તેવા સવાલો પણ સામે આવી રહ્યાં છે. 

આ 9 લોકોના બ્લાસ્ટની ઘટનામાં મોત થયાં

રિંકુબેન ચારેલ

રવિના ચારેલ

શિવાની ચારેલ

રમીલાબેન ચારેલ

વિરલ ચારેલ

સવિતાબેન ડામોર

ઉષાબેન ડામોર

અઝરૂદ્દિન કાઝી

અશરાર અલી સૈયદ

આ પણ વાંચોઃ Ahmedabad News : રામોલમાં 9 લોકોના મોત બાદ તંત્ર જાગ્યુ, ખુલ્લા ખેતરમાં ચાલતા 2 એકમો બંધ કરાયા