ગુજરાતના સૌથી વ્યસ્ત અને વીઆઈપી ગણાતા અમદાવાદ-ગાંધીનગર એસ.જી. હાઇવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે આગામી ૬ મહિના ભારે કસોટીપૂર્ણ રહેવાના છે. હાઇવે પર નર્મદા કેનાલ ક્રોસિંગ નજીક ટ્રાફિકની ગીચતા ઘટાડવા માટે સરકાર દ્વારા 32 કરોડના ખર્ચે નવો ફોર-લેન (ચાર માર્ગીય) રોડ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. હાલ આ જગ્યાએ ડાયવર્ઝન પ્રોજેક્ટની સિવિલ કામગીરી ખૂબ જ મોટા પાયે ચાલી રહી છે, જેના કારણે રોડની પહોળાઈ કામચલાઉ ધોરણે ઘટી ગઈ છે.
SG હાઇવે વાહનચાલકો ખાસ નોંધ લે!
બાંધકામની આ સાઇટ પર તોતિંગ ક્રેન્સ અને જેસીબી મશીનો કાર્યરત હોવાથી સવાર-સાંજ અકસ્માત થવાનો ભારે ભય રહે છે. આ સાથે જ ભારે વાહનોના કારણે કિલોમીટરો લાંબો ટ્રાફિકજામ ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ અને માર્ગ-મકાન વિભાગે મોટો નિર્ણય લીધો છે. નવા જાહેરનામા અનુસાર, અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલથી લઈને ગાંધીનગરના ચ-૦ સર્કલ સુધીના મુખ્ય હાઇવે પર સવારના 7 થી રાતના 11 વાગ્યા સુધી તમામ ભારે કમર્શિયલ વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ૧૫ જાન્યુઆરી, 2027 સુધી એટલે કે આગામી ૬ મહિના સુધી સતત અમલમાં રહેશે.
