અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો અને ગુનેગારોનો આતંક સતત વધી રહ્યો છે, ત્યારે શાહઆલમ વિસ્તારમાં વધુ એક લોહીયાળ મારામારીની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. અગાઉના કોઈ ઝઘડા અથવા જૂની અદાવતનો કડવો ખાર રાખીને સ્થાનિક ગુનેગારોએ એક ફરિયાદી પર હિંસક અને જીવલેણ હુમલો કર્યો છે.

શાહઆલમ વિસ્તારમાં મારામારીની ઘટના 

મળતી પ્રાથમિક વિગતો અનુસાર, ફરિયાદી પોતાના ઘર પાસે હાજર હતો ત્યારે અચાનક પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે હુમલાખોરો ધસી આવ્યા હતા. આરોપીઓએ જાહેરમાં અપશબ્દો બોલીને ફરિયાદી પર ઘાતક અને તીક્ષ્ણ હથિયાર વડે તૂટી પડ્યા હતા. હુમલાખોરોના આચરેલા હિંસક કૃત્યને કારણે ફરિયાદી લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો. બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેને જોઈ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત ફરિયાદીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.

જૂની અદાવતનો કડવો ખાર રાખીને હુમલો

આ ગંભીર ગુનાહિત મામલામાં પીડિત પક્ષ અને સ્થાનિકોમાં પોલીસ વહીવટ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફરિયાદી પક્ષે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે, જે તે વિસ્તારમાં શાંતિ જાળવવાની અને ગુનેગારોને પકડવાની જવાબદારી જે પોલીસ સ્ટેશનની છે, તે ઇસનપુર પોલીસ આ મામલામાં બિલકુલ ઢીલી નીતિ અપનાવી રહી છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે તાત્કાલિક કડક કાયદેસરના પગલાં ભરવામાં નથી આવી રહ્યા. પોલીસની આ નિષ્ક્રિયતાના આક્ષેપો બાદ હવે આ કેસ હાઇ પ્રોફાઇલ બન્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે દરમિયાનગીરી કરીને આરોપીઓની વહેલી તકે ધરપકડ કરાવે અને ઇસનપુર પોલીસ સામે તપાસ કરે તેવી લોક માંગ ઉઠી છે.

આ પણ વાંચો: Ahmedabad: રથયાત્રા પુરી થતાં જ AMC એ રાતોરાત રૂટ પરથી 42 મેટ્રિક ટન કચરો ઉપાડી રસ્તાઓ ચકાચક કર્યા