અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી નજીક આવેલા શામળપુર ગામેથી એક અત્યંત સનસનાટીભરી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. શામળપુર ગામમાં રહેતા દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અંદરોઅંદર ક્ષુલક બાબતોમાં ગૃહકંકાસ ચાલી રહ્યો હતો. આ મામૂલી તકરારે આખરે લોહિયાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં પૌઢ પતિએ આવેશમાં આવીને પોતાની જ પત્ની પર કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી તાબડતોબ જીવલેણ હુમલો કરી દીધો હતો.

ગંભીર ઈજાઓ થતાં પત્નીનું ઘટના સ્થળે જ મોત

પતિએ કરેલા અચાનક અને ઘાતકી હુમલામાં પત્નીના શરીરના નાજુક અંગો પર કુહાડીના ઊંડા ઘા વાગ્યા હતા. પ્રહાર એટલા ભયાનક હતા કે, લોહીલુહાણ હાલતમાં પત્નીએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. ઘટના બાદ આસપાસના વિસ્તારમાં અને સમગ્ર ગામમાં અરેરાટી સાથે ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.

Aravalli Murder case

પુત્રની ફરિયાદ અને પોલીસની તાત્કાલિક કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ મૃતકના પુત્રએ હિંમત દાખવીને સમગ્ર ઘટના અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં પિતા સામે માતાની હત્યા કરવાનો ગુનો નોંધાવ્યો હતો. પુત્રની ફરિયાદના આધારે શામળાજી પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છટકું ગોઠવ્યું હતું અને ગણતરીના કલાકોમાં જ ફરાર થઈ ગયેલા હત્યારા પતિની ધરપકડ કરી તેને જેલહવાલે કરી દીધો છે.

Aravalli Murder case


આ વાંચો - Aravalli: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર 8 મહિનામાં 28 કરોડનો દારૂ ઝડપાયો! છેલ્લા 3 દિવસમાં 38 આરોપીઓ ઝડપાયા