અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી નજીક આવેલા શામળપુર ગામેથી એક અત્યંત સનસનાટીભરી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. શામળપુર ગામમાં રહેતા દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અંદરોઅંદર ક્ષુલક બાબતોમાં ગૃહકંકાસ ચાલી રહ્યો હતો. આ મામૂલી તકરારે આખરે લોહિયાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં પૌઢ પતિએ આવેશમાં આવીને પોતાની જ પત્ની પર કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી તાબડતોબ જીવલેણ હુમલો કરી દીધો હતો.
ગંભીર ઈજાઓ થતાં પત્નીનું ઘટના સ્થળે જ મોત
પતિએ કરેલા અચાનક અને ઘાતકી હુમલામાં પત્નીના શરીરના નાજુક અંગો પર કુહાડીના ઊંડા ઘા વાગ્યા હતા. પ્રહાર એટલા ભયાનક હતા કે, લોહીલુહાણ હાલતમાં પત્નીએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. ઘટના બાદ આસપાસના વિસ્તારમાં અને સમગ્ર ગામમાં અરેરાટી સાથે ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.


