અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 25થી 50 વર્ષ જૂની થઈ ગયેલી ડ્રેનેજ, સ્ટોર્મ વોટર અને મુખ્ય ટ્રંક લાઈનોને રૂપિયા 3200 કરોડના ખર્ચે તબક્કાવાર રિહેબિલિટેશન કરીને પુનઃ કાર્યક્ષમ બનાવવાનું મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ હાલ 11 લાઈનોનું કામ મંથર ગતિએ ચાલુ છે અને 16 મોટી લાઈનોનું કામ હજુ બાકી હોવાથી સ્થાનિક રહીશો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. તંત્ર દ્વારા ખોદાણ અને રસ્તા ખોદવાની સમસ્યામાંથી મુક્તિ મળવાનો દાવો કરાઈ રહ્યો છે, પરંતુ હાલ ખોદાણ અમે કામગીરીને પગલે ટ્રાફિક વ્યવસ્થા પર ગંભીર અસર પડી છે.
આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ થતો હોવાનો દાવો
ગીચ વિસ્તારોમાં નવા રસ્તા ખોદવાની મુશ્કેલીથી બચવા અને લાઈન ટ્રાન્સફોર્મેશન માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો અધિકારીઓએ દાવો કર્યો છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 26 લાઈનો હાથ ધરાઈ છે, જેમાં પલ્લવ ચાર રસ્તાથી ચાણક્યપુરી બ્રિજ સુધી જીઆરપી પદ્ધતિથી રિહેબિલિટેશન થઈ રહ્યું છે. મ્યુનિ.ના ડ્રેનેજ વિભાગ અનુસાર, કુલ 69 લાઈનોના 196.23 કિ.મી. નેટવર્ક માટે અંદાજે રૂપિયા 3200 કરોડનો ખર્ચ આંકવામાં આવ્યો છે. જે પૈકી 42 લાઈનોનું 85.89 કિ.મી. કામ રૂપિયા 750 કરોડના ખર્ચે પૂર્ણ થયું છે. જ્યારે 11 લાઈનોનું 34.90 કિ.મી. કામ રૂપિયા 440 કરોડના ખર્ચે ચાલુ છે. જેમાં અસારવા, શિવરંજની, અંધજન મંડળ, હેલ્મેટ ચાર રસ્તા, ખોખરા, નિકોલ, દાણીલીમડા અને મકરબા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.આગામી સમયમાં મ્યુનિ. દ્વારા વધુ 16 મોટી ટ્રંક લાઈનોના 75.43 કિ.મી. નેટવર્ક માટે રૂપિયા 1800 થી 1850 કરોડના આયોજન સાથે કામગીરી હાથ ધરાશે.
