અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યભરના દર્દીઓ ઉપરાંત સરકારી કર્મચારીઓ ખાસ કરીને શિક્ષણ વિભાગ અને એસ.ટી. નિગમના મેડિકલ સર્ટિફિકેટ મેળવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. આના પરિણામે મેડિકલ બોર્ડ પર કામગીરીનું ભારે ભારણ રહેતું હતું. આ સમસ્યાના કાયમી ઉકેલરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સોલા GMERS મેડિકલ કોલેજ ખાતે 'સ્થાયી મેડિકલ બોર્ડ' ની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સોલા GMERS માં સ્થાયી મેડિકલ બોર્ડની રચના

આ નવા બોર્ડની રચના થવાથી શિક્ષણ વિભાગના વર્ગ-3 ના કર્મચારીઓ જેવા કે શિક્ષકો અને વિદ્યાસહાયકો તેમજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના વર્ગ-5 અને વર્ગ-4 ના કર્મચારીઓને તબીબી તપાસ કરાવવી વધુ સુલભ બનશે.સોલા GMERS નું આ મેડિકલ બોર્ડ ખાસ કરીને ગંભીર બીમારી કે તબીબી કારણોસર બદલી, કક્ષાબદલી કે નોકરી સંબંધિત તબીબી રાહત માંગતા કર્મચારીઓની ચોક્કસ શારીરિક તપાસ કરશે અને અધિકૃત રીતે ‘ફિટ’ કે ‘અનફિટ’ સર્ટિફિકેટ જારી કરશે.

8 જિલ્લાના શિક્ષકો અને GSRTC કર્મચારીઓને મોટી સુવિધા

અમદાવાદ શહેર/ગ્રામ્ય સહિત ઉત્તર ગુજરાત અને આસપાસના કુલ 8 જિલ્લાના શિક્ષકો અને વિદ્યાસહાયકો હવે અસારવા સિવિલના બદલે સોલા GMERS માંથી પ્રમાણપત્ર મેળવી શકશે. એસ.ટી. નિગમના અમદાવાદ, મહેસાણા, હિંમતનગર અને પાલનપુર વિભાગ હેઠળ ફરજ બજાવતા ડ્રાઇવર, કંડક્ટર અને વર્ગ-3/4 ના કર્મચારીઓને આ બોર્ડનો સીધો લાભ મળશે.આ નિર્ણયથી કર્મચારીઓનો કિંમતી સમય બચશે અને અસારવા સિવિલ હોસ્પિટલના જનરલ દર્દીઓ પરનું ધ્યાન વધુ કેન્દ્રિત કરી શકાશે.

આ પણ વાંચો: Deesa: રેલવે સ્ટેશન ચાર રસ્તા નજીક મુખ્ય ગેસ પાઇપલાઇનમાં ભંગાણ, હવામાં ફુવારાની જેમ ફેલાયો ગેસ