અમદાવાદ શહેર સહિત દેશના દિલ્હી જેવા અનેક મોટા મહાનગરોમાં સ્વાઈન ફ્લૂ (H1N1)ના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં ફેરફાર અને મોસમી ફ્લૂના કારણે સંક્રમણ વધી રહ્યું હોવાથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશને નાગરિકોની જાગૃતિ અને સ્વાસ્થ્ય સુરક્ષા માટે એક વિશેષ એડવાઇઝરી બહાર પાડી છે.
ICMR નું સર્વેલન્સ: કોઈ નવું જિનેટિક મ્યુટેશન નહીં
ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) ના સર્વેલન્સ રિપોર્ટ મુજબ હાલમાં ફેલાઈ રહેલો આ વાયરસ મોસમી H1N1 જ છે. IMA એ સ્પષ્ટતા કરી છે કે, તપાસ દરમિયાન વાયરસમાં કોઈ નવું જિનેટિક મ્યુટેશન જોવા મળ્યું નથી. મોટાભાગના કેસ અત્યંત હળવા અને સ્વયં-મર્યાદિત (સેલ્ફ-લિમિટિંગ) પ્રકારના છે, જેથી નાગરિકોએ ખોટો ડર કે ગભરાટ રાખવાની બિલકુલ જરૂર નથી.
H1N1 ના મુખ્ય લક્ષણો અંગે જાણકારી
IMA અનુસાર H1N1 સ્વાઈન ફ્લૂથી પીડિત દર્દીઓમાં મુખ્યત્વે તાવ આવવો, ઠંડી લાગવી, સતત ઉધરસ આવવી, ગળામાં દુખાવો થવો, શરીરમાં તીવ્ર દુખાવો અને ભારે થાક અનુભવવો જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. યોગ્ય આરામ અને સમયસરના પ્રાથમિક ઉપચારથી દર્દીઓ ઝડપથી સાજા થઈ જાય છે.

ડોક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક્સ ન લેવા અપીલ
તબીબોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે વાયરલ ઈન્ફેક્શન સામે એન્ટિબાયોટિક દવાઓ બિલકુલ અસરકારક હોતી નથી. IMA એ લોકોને અપીલ કરી છે કે ડોક્ટરના યોગ્ય પરામર્શ વિના Azithromycin કે Amoxicillin-Clavulanate જેવી એન્ટિબાયોટિક્સ દવાઓ સ્વેચ્છાએ ન લેવી. એન્ટિબાયોટિક્સનો બિનજરૂરી ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય સંબંધી જોખમ વધી શકે છે.

આ ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચો
એડવાઇઝરીમાં વધુમાં જણાવાયું છે કે જો દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, છાતીમાં તીવ્ર દુખાવો થાય, લોહીવાળી ઉધરસ આવે કે સતત ઉલટી થતી હોય, તો તેને બિલકુલ હળવાશથી ન લેવું જોઈએ. આવા ગંભીર લક્ષણો જણાતાં જ દર્દીને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો - Swine Flu News: દેશમાં સ્વાઇન ફ્લૂના કેસ વધ્યા! H1N1 બીમારીમાં કયારે પણ ડૉક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક્સ કેમ ન લેવી