અમદાવાદ શહેરના ઐતિહાસિક કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરના વર્ષો જૂના સિવિલ દાવામાં સિવિલ કોર્ટના એડિશનલ સેશન્સ જજ એ.એન.વોરાએ મંદિરની દાનપેટી ખોલવા અંગે એક મહત્વનો આદેશ કર્યો છે.કોર્ટે બંને પક્ષકારોની સંમતિથી બે એડવોકેટ્સની કોર્ટ કમિશનર તરીકે નિમણૂક કરી છે.આ કોર્ટ કમિશનરે તમામ પક્ષકારોની હાજરીમાં મંદિરની દાનપેટી ખોલી રોકડ રકમની ગણતરી કરશે અને કોર્ટનો વધુ હુકમ ન થાય ત્યાં સુધી તે તમામ રકમ કોર્ટના નાઝીર સમક્ષ જમા કરાવશે.

સિટી સિવિલ કોર્ટ સમક્ષ વર્ષ 2001માં દાવો કર્યો હતો

કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર સામે નંદબાલા કનૈયાલાલ ભટ્ટ અને ભદ્રેશ ભટ્ટે સિટી સિવિલ કોર્ટ સમક્ષ વર્ષ 2001માં દાવો કર્યો હતો.જે દાવામાં પ્રતિવાદી તરીકે કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર, અજિતરાય શાસ્ત્રી, રાજેશ ડી. શાસ્ત્રી અને ચીફ કમિશનર ઓફ ગુજરાત રાજ્યને દર્શાવવામાં આવ્યા છે. આ દાવામાં પ્રતિવાદી કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરના વકીલ દ્વારા કરાયેલી અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે અદાલત દ્વારા અગાઉ ગત 1 ઓગસ્ટ 2026ના રોજ કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરની દાનપેટી ખોલવા અંગે હુકમ થયો હતો. 

એડવોકેટ્સની કોર્ટ કમિશનર તરીકે નિમણૂક કરવા આદેશ

આ કામગીરી માટે કોર્ટ કમિશનર તરીકે એડવોકેટ વી.એ.પટેલ અને એડવોકેટ એમ.ડી.દેસાઈની નિમણૂક કરવા બંને પક્ષકારોએ સંમતિ દર્શાવી છે.સામા પક્ષના વકીલે પણ અરજી પર કોઈ વાંધો ન હોવાનો શેરો માર્યો હતો.આ તમામ હકીકતો અને સંજોગોને ધ્યાનમાં લઈને કોર્ટે અરજી મંજૂર કરી કોર્ટના રજિસ્ટ્રારને બંને એડવોકેટ્સની કોર્ટ કમિશનર તરીકે નિમણૂક કરવા આદેશ કર્યો છે.કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે દાનપેટી ખોલવાની તારીખ અને સમય અંગે તમામ પક્ષકારોને અગાઉથી જાણ કરવાની રહેશે.

આ પણ વાંચોઃ Surendranagarના લીંબડીમાં ગમખ્વાર અકસ્માત, એકનું મોત, 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત