દર વર્ષે ચોમાસા દરમિયાન અમદાવાદ શહેર અને નીચાણવાળા વિસ્તારોમાં સાબરમતી નદીના પાણી ભરાઈ જવાની કે બેરેજના જર્જરિત દરવાજા ન ખૂલવાની સમસ્યાઓ સર્જાતી હોય છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વાસણા બેરેજના આધુનિકીકરણનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જે હવે સત્તાવાર રીતે સંપન્ન થઈ ચૂક્યો છે. અંદાજે રૂા. ૧૦ કરોડના તોતિંગ બજેટ સાથે શરૂ કરાયેલી આ મેગા કામગીરી ચોમાસું બરાબર જામી જાય તે પહેલાં, માત્ર ૩૫ દિવસના ટૂંકા ગાળામાં યુદ્ધના ધોરણે પૂરી કરવામાં આવી છે.


ટેકનિકલ અપગ્રેડેશન અને સેફ્ટી કિલયરન્સ

ઇજનેરી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાસણા બેરેજ ખાતે જૂના અને કાટ ખાઈ ગયેલા દરવાજાઓને બદલીને ત્યાં અદ્યતન હાઇડ્રોલિક કંટ્રોલ સિસ્ટમ ધરાવતા ૧૯ નવા દરવાજા ફિટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, જે દરવાજાઓની સ્થિતિ મધ્યમ હતી તેવા અન્ય 10 દરવાજાઓનું સંપૂર્ણ રિપેરિંગ અને ઓઇલિંગ કામ સફળતાપૂર્વક પૂરું કરાયું છે. આ નવીનીકરણ બાદ હવે પૂરના સમયે એકસાથે લાખો ક્યુસેક પાણી ખૂબ જ સરળતાથી અને ઝડપથી છોડી શકાશે, જેથી અમદાવાદ શહેર પર પૂરનું જોખમ નહિવત થઈ જશે.

સાબરમતી નદી પુનઃ સજીવન થઈ

બેરેજની કામગીરી પૂર્ણ થવાની સાથે જ અમદાવાદવાસીઓ માટે અન્ય એક આનંદના સમાચાર એ છે કે આજથી જ સાબરમતી નદીમાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ઉનાળાની આકરી ગરમી બાદ નદી સુકાઈ રહી હતી, પરંતુ હવે નર્મદાના નવા નીરનું આગમન થતાં સાબરમતી નદી ફરી એકવાર હિલોળા લેવા માંડી છે. રિવરફ્રન્ટ પર ફરવા આવતા પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો માટે નદીનો આ નવો અને ભરેલો નજારો ભારે આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ પણ વાંચો: Ahmedabad: મનપા કમિશનરે VIP કાર્યક્રમો માટે SOP પાડી બહાર, તમામ વિભાગો સાથે કો-ઓર્ડિનેશન ફરજિયાત

  • Follow us on: