દર વર્ષે ચોમાસા દરમિયાન અમદાવાદ શહેર અને નીચાણવાળા વિસ્તારોમાં સાબરમતી નદીના પાણી ભરાઈ જવાની કે બેરેજના જર્જરિત દરવાજા ન ખૂલવાની સમસ્યાઓ સર્જાતી હોય છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વાસણા બેરેજના આધુનિકીકરણનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જે હવે સત્તાવાર રીતે સંપન્ન થઈ ચૂક્યો છે. અંદાજે રૂા. ૧૦ કરોડના તોતિંગ બજેટ સાથે શરૂ કરાયેલી આ મેગા કામગીરી ચોમાસું બરાબર જામી જાય તે પહેલાં, માત્ર ૩૫ દિવસના ટૂંકા ગાળામાં યુદ્ધના ધોરણે પૂરી કરવામાં આવી છે.
ટેકનિકલ અપગ્રેડેશન અને સેફ્ટી કિલયરન્સ
ઇજનેરી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાસણા બેરેજ ખાતે જૂના અને કાટ ખાઈ ગયેલા દરવાજાઓને બદલીને ત્યાં અદ્યતન હાઇડ્રોલિક કંટ્રોલ સિસ્ટમ ધરાવતા ૧૯ નવા દરવાજા ફિટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, જે દરવાજાઓની સ્થિતિ મધ્યમ હતી તેવા અન્ય 10 દરવાજાઓનું સંપૂર્ણ રિપેરિંગ અને ઓઇલિંગ કામ સફળતાપૂર્વક પૂરું કરાયું છે. આ નવીનીકરણ બાદ હવે પૂરના સમયે એકસાથે લાખો ક્યુસેક પાણી ખૂબ જ સરળતાથી અને ઝડપથી છોડી શકાશે, જેથી અમદાવાદ શહેર પર પૂરનું જોખમ નહિવત થઈ જશે.










