ગુજરાતમાં ભારે વરસાદને કારણે રોડ અને રસ્તાને ભારે નુકસાન પહોંચ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ બાદ અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈને બંધ થઈ ગયા હતાં. બેઝમેન્ટ અને પાર્કિંગમાં ઉભેલા વાહનોમાં પણ પાણી ઘૂસતા ભારે નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં પણ આ પ્રકારની સ્થિતિ સામે આવી છે. વરસાદ બાદ ગેરેજ સંચાલકો અને વાહન ચાલકો બંને મુશ્કેલીમાં મુકાયા છે. માત્ર વલસાડ નહીં પણ રાજ્યના અનેક શહેરોમાં ગેરેજ અને સર્વિસ સ્ટેશનોમાં વાહનોની સર્વિસ માટે લાઈનો લાગેલી જોવા મળી રહી છે. પાણીમાં વાહનને ચલાવ્યા બાદ તેના કયા સ્પેરપાર્ટ્સને નુકસાન થાય છે અને વાહનમાં સૌથી વધુ ખર્ચો કયા પાર્ટ્સના રિપેરિંગ પાછળ થાય છે તે અંગે સંદેશ ડિજિટલ દ્વારા અમદાવાદ શહેરના વાહન એક્સપર્ટ સાથે વાત કરવામાં આવી હતી. 

કારના ટાયર લેવલ સુધી કાર પાણીમાં લઈ જઈ શકાય

અમદાવાદમા ઓટો એક્સપર્ટ અક્ષય મકવાણાએ સંદેશ ડિજિટલને કહ્યું હતું કે, જ્યારે પણ પાણી ભરાયેલું હોય ત્યારે કાર પાણીમાં લઈ જતાં વિચાર કરવો જરૂરી છે. કારણ કે કારમાં એવા પ્રકારના મોડ્યુલ્સ આવેલા હોય છે જે શોર્ટ થવાના ચાન્સ વધુ હોય છે. આ ઉપરાંત કારના સાયલેન્સરમાં પાણી જાય તો નુકસાન થવાનું જ છે. આ ઉપરાંત એર ફિલ્ટરમાં પાણી આવે તો તે એન્જિન સુધી પહોંચી જાય છે. જેને કારણે એન્જિનને મોટું નુકસાન થાય છે. કારની અંદર પાણી પ્રવેશે તો કારની અંદરના અલગ અલગ સ્પેરપાર્ટ્સ પર નુકસાનની અસર થાય છે. વાહન ચાલકોએ વરસાદી પાણીમાં વાહન નાંખતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે. જયાં પણ પાણી ભરાયેલું હોય ત્યાં કારના ટાયર લેવલ સુધી કાર પાણીમાં લઈ જઈ શકાય છે. પણ જો ટાયરના લેવલથી ઉપર સુધી પાણી હોય તો વાહન ચાલકોએ સાવધાની રાખવી જરૂરી છે. જ્યારે પણ સ્પોટ પર ભરાયેલા પાણીમાં ગાડી બંધ થઈ જાય તો તેનો એક ફોટો લઈ લેવો જરૂરી બને છે. જેથી કોઈ વિમા કંપની બ્લેમ ના કરી શકે. 

અમદાવાદ વાહન વરસાદ

ટુ વ્હિલરમાં પેપર ફિલ્ટરનું લેયર ચોકઅપ થઈ જાય 

અમદાવાદના ટુવ્હિલર એક્સપર્ટ ધર્મેશભાઈએ સંદેશ ડિજિટલને કહ્યું હતું કે, વાહનોમાં સાયલેન્સનો હોલ હોય તેના પર પાણી જાય તો તે ડૂબવાની અણી હોય તો ડેન્જર ઝોન કહેવાય છે. જો વાહનને સાહસ કરીને પાણીમાં નાંખવામાં આવે તો વાહનનું એર ફિલ્ટર હોય તે બાઈક અને એક્ટિવા જેવા વાહનમાં અલગ અલગ આવતું હોય છે. બાઈકમાં થોડું ઊંચુ આવે છે અને એક્ટિવામાં કિક વાળા ભાગથી સહેજ ઉપર આવે છે. તેમાં પાણી જાય એટલે વાહન બંધ થઈ જતુ હોય છે.હાલમાં જે BS6 પ્રકારના વાહનો આવ્યા છે તેમાં બધામાં પેપર ફિલ્ટર આવે છે. જેના હવા ગળાઈને અંદર જતી હોય છે. જેથી પાણી ભરાઈ જવાને કારણે આ પેપર ફિલ્ટરનું લેયર ચોકઅપ થઈ જાય અને તેના કારણે વાહન હવા લેતું બંધ થઈ જતુ હોય છે. 

વાહન અમદાવાદ

ટુ વ્હિલરમાં ત્રણેક હજાર સુધીનો ખર્ચો થઈ શકે

તેમણે વધુમાં કહ્યું હતું કે, એન્જિનમાં સ્પાર્ક થાય તે માટે હવા અને પેટ્રોલ બંને ચીજો જરૂરી છે. જેથી પેપર ફિલ્ટર બદલીને નવા નાંખવા પડે છે. પહેલા સ્પંચ ફિલ્ટર આવતા હતાં જેને સાફ કરીને ફરીવાર નાંખી શકાતા હતાં. આ પેપર ફિલ્ટરનો ખર્ચો 250 સુધી થતો હોય છે. બીજું કે વાહનમાં આ સિવાયની કોઈ ખામી હોય તો તેનો ખર્ચો અલગ થાય છે. જેમ કે પેટ્રોલની ટાંકીમાં પાણી ગયુ હોય અથવા તો આખી રાત પલળીને મુકી રાખવામાં આવ્યું હોય તો ક્લચના લાયનર પણ ખરાબ થઈ શકે છે. એન્જિન ઓઈલમાં પાણી ગયું હોય તો ઓઈલ પણ બદલવું પડે છે. હાલના વાહનોમાં મેગ્નેટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. જે પાણીના કારણે બંધ થઈ જતી હોય છે. એટલે વરસાદમાં વાહન પાણીમાં જાય ત્યારે 500 રૂપિયાથી લઈને 3 હજાર રૂપિયા સુધીનો ખર્ચો થઈ શકે છે.  

આ પણ વાંચોઃ Ahmedabad News : ગુરૂકુળ વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને લાખોનું નુકસાન, ગટરના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં