ગુજરાત સરકારે લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈને એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. અનેક રાજ્યોમાં હોટેલો અને રેસ્ટોરાં સહિત ખાણીપીણીની દુકાનોમાં અસલ દૂધમાંથી બનાવેલા પનીરની જગ્યાએ એનાલોગ પનીર પીસરવામાં આવી રહ્યું હોવાનું સરકારના ધ્યાને આવ્યું હતું. ત્યાર બાદ તેના પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો છે. આરોગ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે એક જ દિવસમાં 74 જગ્યાએ દરોડા પાડીને એક હજાર કિલો પનીર સહિતની ચીજોને નષ્ટ કરી દેવામાં આવી છે.
આરોગ્ય વિભાગની ઝીરો ટોલરન્સની નીતિ સાથે ઝુંબેશ
અમરેલીની મુલાકાતે પધારેલા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ એનાલોગ પનીર, ચીઝ અને બટર પર મુકેલા પ્રતિબંધ બાદ ભેળસેળિયા માફિયાઓ સામે કડક સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું કે, ભેળસેળયુક્ત એનાલોગ પ્રોડક્ટ્સ વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વોને સહેજ પણ સાંખી લેવામાં નહીં આવે. સરકારે ગઈકાલે જ આ અંગેનું ગેઝેટ પ્રસિદ્ધ કરી દીધું છે તેથી હવે એક પણ ભેળસેળિયાને બક્ષવામાં નહીં આવે અને તેમણે જેલ તેમજ સજા ભોગવવા તૈયાર રહેવું પડશે. છેલ્લા ચાર મહિનાથી આરોગ્ય વિભાગ ઝીરો ટોલરન્સની નીતિ સાથે ઝુંબેશ ચલાવી રહ્યું છે.
