અમરેલી જિલ્લાના ધારી પંથકમાં આવેલા ખાડિયા વિસ્તાર અને ગણેશ સોસાયટી નજીક છેલ્લા ત્રણ દિવસથી એક હિંસક દીપડાની સતત અવરજવર જોવા મળી રહી હતી. સોસાયટી અને રહેણાંક વિસ્તારની નજીક જ દીપડાએ ધામા નાખતાં સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. સાંજના સમયે અને રાત્રિના ગાળામાં લોકો ઘરની બહાર નીકળતાં પણ ડર અનુભવી રહ્યા હતા, જેના પગલે સ્થાનિક રહીશોએ તુરંત જ આ મામલાની સત્તાવાર જાણ ધારી વન વિભાગને કરી હતી.
વન વિભાગે પાંજરું ગોઠવતાં સાંજના સમયે દીપડો પાંજરામાં આબાદ કેદ
સ્થાનિકોની રજૂઆતને ગંભીરતાથી લઈને ધારી વન વિભાગની ખાસ ટીમ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. વન તંત્રના કર્મચારીઓએ દીપડાના પગમાર્ક અને અવરજવર વાળા ચોક્કસ લોકેશનની ચકાસણી કર્યા બાદ ખાડિયા વિસ્તારમાં વ્યુહાત્મક રીતે પાંજરું ગોઠવી દીધું હતું. વન વિભાગની આ યોજના સફળ રહી હતી અને પાંજરું મૂક્યા બાદ સાંજના સમયે શિકારની શોધમાં નીકળેલો દીપડો વન વિભાગના પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો.
