અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વન વિભાગ હેઠળની તુલસીશ્યામ રેન્જમાં ઇન્ફાઇટ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા નર સિંહના રેસ્ક્યુની ઘટના સામે આવી છે. સિંહ એટલો ગંભીર રીતે ઘાયલ હતો કે તે એક ફૂટ પણ ચાલી શકે તેવી સ્થિતિમાં નહોતો અને જમીનથી અંદાજે 10 ફૂટ ઊંડા પાળા નીચે પડ્યો હતો.
10 ફૂટ નીચે પડેલા સિંહ સુધી પહોંચવું બન્યું મોટો પડકાર
ઘાયલ સિંહની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી સામાન્ય પદ્ધતિથી રેસ્ક્યુ કરવું શક્ય નહોતું. સિંહ પાંજરામાં જાતે આવી શકે તેવી સ્થિતિમાં નહોતો. બીજી તરફ, નાજુક હાલતમાં તેને બેભાન કરવાની પ્રક્રિયા પણ જોખમી બની શકે તેમ હતી. તેથી વન વિભાગની ટીમે ખાસ આયોજન સાથે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું.

સિંહની નજીક ટ્રેકરને મોકલતા વધ્યો રોમાંચ
રેસ્ક્યુ દરમિયાન એક ટ્રેકરને પાંજરામાં સુરક્ષિત રીતે બેસાડી ઘાયલ સિંહની નજીક મોકલવામાં આવ્યો હતો. ટ્રેકરે 2 થી 3 લાકડીઓની મદદથી અત્યંત સાવચેતીપૂર્વક સિંહને અલગ અલગ ભાગેથી ગાળિયામાં લીધો હતો. ત્યારબાદ ટ્રેકરને સુરક્ષિત રીતે બહાર કાઢી સિંહને પાંજરામાં લેવામાં આવ્યો હતો.

20 લોકોની મદદથી પાંજરું ઉપર લાવવામાં આવ્યું
સિંહને પાંજરામાં લીધા બાદ પણ રેસ્ક્યુ ટીમ સામે મોટો પડકાર હતો. અંદાજે 20 લોકોની મદદથી ભારે પાંજરાને 10 ફૂટ ઊંડા પાળામાંથી ઉપર ચડાવી વાહન સુધી પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘાયલ સિંહને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

10 દિવસની સારવાર પછી જંગલમાં વાપસી
સિંહની સતત સારવાર કરવામાં આવી હતી અને લગભગ 10 દિવસની સારવાર બાદ તે સંપૂર્ણ સ્વસ્થ બન્યો હતો. ત્યારબાદ સિંહને તેના કુદરતી આવાસમાં ફરી મુક્ત કરવામાં આવ્યો હતો.
https://www.instagram.com/reel/Dc-3o4TCYBE/?utm_source=ig_web_button_share_sheet
દરરોજ અનેક વન્યજીવો માટે ચાલે છે રેસ્ક્યુ અભિયાન
ગીર લાયન લેન્ડસ્કેપ વિસ્તારમાં સિંહ ઉપરાંત દીપડા, અજગર, મગર, જરખ અને શિયાળ સહિતના વિવિધ વન્યજીવોના રેસ્ક્યુ માટે દિવસ-રાત કામગીરી કરવામાં આવે છે. અંદાજે દરરોજ 2 થી 3 વન્યજીવોના રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવે છે.
આ પણ વાંચો : Nepal Flood : ફ્લેશ ફ્લડ પર નેપાળને ભારતનો જવાબ, વિકસિત દેશોએ જ વિકાસશીલ દેશોની મદદ કરવી જોઈએ