અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વડિયા શહેર સહિત મોરવાડા, ખડખડ, અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે આ વરસાદને કારણે ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીની લાગણી છવાઈ હતી. પરંતુ જન્માષ્ટમીના મેળાના આયોજકો ચિંતામાં મુકાયા છે. વડિયા શહેરમાં સારો એવો વરસાદ વરસતા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા.


વડીયાના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા

ભારે વરસાદના કારણે મેઘાવી માહોલ જામ્યો હતો. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો અને લોકોએ અસહ્ય ઉકળાટમાંથી રાહત અનુભવી હતી. ખેતી માટે પણ આ વરસાદ અત્યંત જરૂરી હતો. તેથી ખેડૂતો પણ ખુશ છે. જોકે આ જ વરસાદને કારણે આગામી સાતમ-આઠમના તહેવારોની ઉજવણી પર અસર થવાની શક્યતા છે. ખાસ કરીને મેળાના આયોજકોને ચિંતા સતાવી રહી છે કે વરસાદ ચાલુ રહેશે તો તેમના આયોજનમાં વિક્ષેપ પડી શકે છે.

વરસાદથી જન્માષ્ટમીના મેળાના આયોજકો ચિંતામાં

મેળાના સ્થળોએ પાણી ભરાઈ જવાથી અને કાદવ કીચડ થવાથી મુલાકાતીઓની સંખ્યા પર પણ નકારાત્મક અસર પડી શકે છે. આમ એક તરફ વરસાદની રાહ જોતા લોકોમાં ખુશી છે તો બીજી તરફ તહેવારોની તૈયારીઓ કરતા આયોજકોના માથે ચિંતાના વાદળો છવાયા છે. સૌ કોઈ હવે એવી આશા રાખી રહ્યા છે કે વરસાદ વિરામ લે. જેથી જન્માષ્ટમીના તહેવારોની ઉજવણી ઉત્સાહભેર કરી શકાય.


  • Follow us on: