આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલા ખડઉ સીમ વિસ્તારમાં એક અતિ હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. શકરપુરના મોસમફળીયા ખાતે રહેતા અને ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા અશ્વિનભાઈ બારૈયાની ત્રણ માસૂમ પુત્રીઓ - પ્રિયા (13 વર્ષ), ઈશા (11 વર્ષ) અને રીના (8 વર્ષ) શૌચક્રિયા અર્થે સીમમાં આવેલા તળાવ કિનારે ગઈ હતી. આ દરમિયાન કોઈ કારણોસર ત્રણેય બાળકીઓ તળાવના ઊંડા પાણીમાં પડી જતાં ડૂબી ગઈ હતી. એકસાથે પરિવારની ત્રણ-ત્રણ વ્હાલસોયી દીકરીઓ કાળનો કોળિયો બનતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
યુવકે બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડી
બાળકીઓ મોડે સુધી ઘરે ન પરત ફરતાં પરિવારજનો અને સગા-સંબંધીઓએ બે કલાક સુધી સીમ વિસ્તારમાં વ્યાપક શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન તળાવ કિનારે કાગળની હોડીઓ જોવા મળતાં પરિવારજનોને બાળકીઓ તળાવમાં ડૂબી ગઈ હોવાની પ્રબળ શંકા ગઈ હતી. આથી એક સ્થાનિક યુવકે તુરંત તળાવના પાણીમાં ઉતરીને તપાસ કરતાં ત્રણેય બાળકીઓ મળી આવી હતી. 108 મારફતે તેમને ત્વરિત સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબોએ ચકાસણી બાદ ત્રણેય સગી બહેનોને મૃત જાહેર કરી હતી.
