22 લોકોના જીવ લેનારી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે નવો બ્રિજ તૈયાર થઈ ગયો છે. દુર્ઘટના બાદ વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા હતા અને સરકાર પણ ભારે ટીકાનો સામનો કરી રહી હતી. જોકે ઘટનાના માત્ર 1 વર્ષમાં જ નવા ગંભીરા બ્રિજનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે અને ઓગસ્ટના અંત સુધીમાં તેના લોકાર્પણની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અંદાજે રૂ.212 કરોડના ખર્ચે નવો બ્રિજ
નવા ગંભીરા બ્રિજનું નિર્માણ અંદાજે રૂ.212 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. બ્રિજની કુલ લંબાઈ 868.75 મીટર છે અને તેમાં કુલ 23 સ્પાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક સ્પાનની લંબાઈ 37.75 મીટર રાખવામાં આવી છે.

હેવી લોડિંગ સ્ટેટિક ટેસ્ટિંગ પણ પૂર્ણ
બ્રિજ શરૂ કરતા પહેલા તેની મજબૂતાઈ અને ક્ષમતાની ચકાસણી માટે હેવી લોડિંગ સ્ટેટિક ટેસ્ટિંગ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ટેસ્ટિંગ બાદ હવે બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવાની તૈયારીઓ તેજ થઈ રહી છે.

10 મીટર પહોળો કેરેજ-વે તૈયાર કરવામાં આવ્યો
નવા બ્રિજમાં વાહન વ્યવહારને વધુ સુગમ બનાવવા માટે 10 મીટર પહોળો કેરેજ-વે તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ પદયાત્રીઓની સુરક્ષા અને અવરજવર માટે 1.5 મીટર પહોળો ફૂટપાથ પણ બનાવવામાં આવ્યો છે.
બ્રિજ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ જગાવ્યો હતો
ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ જગાવ્યો હતો. 22 લોકોના મોત બાદ બ્રિજની જાળવણી, નિરીક્ષણ અને જવાબદાર તંત્રની કામગીરીને લઈને ગંભીર સવાલો ઊભા થયા હતા. હવે નવા બ્રિજનું નિર્માણ પૂર્ણ થતાં લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

ઓગસ્ટના અંત સુધીમાં નવા ગંભીરા બ્રિજનું લોકાર્પણ થઈ શકે
જો તમામ પ્રક્રિયા સમયસર પૂર્ણ થશે તો ઓગસ્ટના અંત સુધીમાં નવા ગંભીરા બ્રિજનું લોકાર્પણ થઈ શકે છે. એક દુર્ઘટના બાદ ઊભા થયેલા પ્રશ્નો વચ્ચે માત્ર 1 વર્ષમાં નવો બ્રિજ તૈયાર થવો હવે વહીવટી તંત્ર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યો છે..
આ પણ વાંચો : Live Bhavnagar લઠ્ઠાકાંડ : મૃતકના શરીરમાં 200 એમએલથી વધુ મિથેનોલ મળ્યું