સાઠંબા નગરમાં રખડતા પશુઓની સમસ્યાએ આજે ભર બજારમાં એક ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. શહેરના મુખ્ય બસ સ્ટેશન વિસ્તારમાં બે આખલાઓ જોરદાર રીતે બાખડ્યા હતા અને તેમની વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું હતું. જાહેર માર્ગ પર આખલાઓનું યુદ્ધ શરૂ થતાં લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. બે રોષે ભરાયેલા આખલાઓ મુખ્ય માર્ગ પર જ સામસામે આવી ગયા હતા અને એકબીજા સાથે લડવા લાગ્યા હતા.


મુખ્ય બસ સ્ટેશન વિસ્તારમાં બે આખલા બાખડયા

આ આખલાઓનું યુદ્ધ સતત અડધો કલાક સુધી ચાલ્યું હતું. આખલા યુદ્ધના કારણે આસપાસના લોકોમાં અને વેપારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. બસ સ્ટેશન પાસે આવેલા લારી-ગલ્લાવાળા અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો જીવ બચાવવા માટે દોડાદોડી કરવા લાગ્યા હતા. યુદ્ધ દરમિયાન આખલાઓ રોડ પર મુકેલા સામાન અને વાહનો સાથે અથડાયા હતા, જેના કારણે નુકસાન થવાનો ભય પણ સર્જાયો હતો.

તંત્ર રખડતા પશુઓ પર ક્યારે લગામ લાવશે?

સાઠંબા નગરના જાહેર માર્ગો પર રખડતા પશુઓની સમસ્યા લાંબા સમયથી ચાલી આવે છે. આ પ્રકારના આખલા યુદ્ધો સામાન્ય જનતા માટે જોખમી સાબિત થાય છે અને અકસ્માતનો ભય પેદા કરે છે. સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા કે સંબંધિત તંત્ર દ્વારા રખડતા પશુઓ પર કડક લગામ લાવવામાં આવે અને તેમને જાહેર માર્ગો પરથી દૂર કરવામાં આવે, જેથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.


  • Follow us on: