અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનો વિરોધ સતત સાતમા દિવસે પણ યથાવત્ રહ્યો છે. મોડાસાના સજાપુર-ટીંટીસરમાં આજે પશુપાલકોની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં જિલ્લાની 66 દૂધ મંડળીઓના આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં પશુપાલકોએ પોતાની માંગણીઓ મુદ્દે ફરી એકવાર સરકાર અને ડેરી સત્તાધીશો સામે અવાજ ઉઠાવ્યો હતો.
કિલોફેટે ભાવ નહીં પણ 20 ટકા નફો આપવા માગ
પશુપાલકોની મુખ્ય માંગણીઓમાં કિલોફેટે ભાવ નહીં પરંતુ 20 ટકા નફો આપવાનો સમેવેશ થાય છે. તેમનું કહેવું છે કે, વર્તમાન ભાવ માળખું તેમને પોસાય તેમ નથી અને પશુપાલનના વ્યવસાયમાં ટકી રહેવા માટે યોગ્ય નફો મળવો અનિવાર્ય છે. આ ઉપરાંત આંદોલન દરમિયાન પકડાયેલા 74 પશુપાલકોને બિનશરતી છોડી મુકવાની પણ ઉગ્ર માંગ કરવામાં આવી હતી.
અરવલ્લીની 80 ટકા દૂધ મંડળીઓ હજુુ પણ બંધ
ઉલ્લેખનીય છે કે, અરવલ્લી જિલ્લામાં વિરોધના પગલે 80 ટકા દૂધ મંડળીઓ હજુ પણ બંધ છે જેના કારણે દૂધ ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા પર ગંભીર અસર પડી રહી છે. પશુપાલકોએ જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આંદોલનને કારણે દૂધની અછત સર્જાઈ રહી છે અને ગ્રાહકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર અને ડેરી સત્તાધીશો દ્વારા આ મામલે વહેલી તકે કોઈ ઉકેલ લાવવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.